Press "Enter" to skip to content

પોળો : અરવલ્લી ગિરિમાળાઓ વચ્ચેનું રમણીય સ્થળ

Pankaj Patel 1

ગુજરાતમાં આજે વિકસિત નગરો, જિલ્લા કે વિસ્તારની વાત કરીએ તો કેટલાક જિલ્લા અવિકસિત અથવા આદિવાસી વિસ્તારો ગણાય. પરંતુ સમયના કોઈક પડાવે આ વિસ્તારો સમગ્ર ગુજરાતની સરખામણીએ અવિકસિત કે પછાત નહોતા. જેમ કે રાજપિંપળા, છોટા ઉદેપુર, ઈડર વગેરે કોઈક સમયે રજવાડી મુખ્યમથકો હતાં અને તે પૈકી કેટલાક તો બ્રિટિશ શાસન દરમિયાન રેલ્વે, તાર ટપાલ વગેરે જેવી નવી ગણાતી સેવાઓથી પણ જોડાયેલા હતાં. વધુમાં તે સમયના પ્રમાણમાં શિક્ષણ અને ઉદ્યોગોમાં પણ સારો વિકાસ કરેલો. તે જ પ્રમાણે આજે અરવલ્લીના ગાઢ જંગલોની વચ્ચે પહાડી પ્રદેશમાં, કહેવાતા વિકસિત માનવ વસવાટોથી દૂર, કુદરતને ખોળે આવેલા પોળો એટલે કે વર્ષો જુના જૈન અને હિંદુ મંદિરોના હમણા જ શોધાયેલા પુરાતન સંકુલને જોઈએ તો લાગ્યા વગર ના રહે કે ગુજરાતની રાજસ્થાન સરહદને અડીને આવેલ વિજયનગર પણ ક્યારેક કોઈ રજવાડા કે સામ્રાજ્યનું મુખ્ય મથક હોય અથવા અગત્યનું શહેર હશે.

પોળો એ પ્રવાસનનું એક પ્રાકૃતિક ધામ છે. અમદાવાદથી ઉત્તર-પૂર્વમાં આશરે 160 km દૂર આવેલા સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકામાં પ્રવેશતા જ અરવલ્લી ગિરિમાળામાં હરિયાળી ટેકરીઓ અને આહલાદક કુદરતી સૌંદર્યથી ભરપુર હરણાવ નદીના કાંઠે આવેલું ઐતિહાસિક વારસાથી સમૃદ્ધ એવું પોળોનું જંગલ.

વિજયનગર એટલે વનનું પ્રગાઢ નગર અને વનવાસીઓની ધબકતી સંસ્કૃતિ. અહીં પોળોનાં જંગલો આવેલા છે. એની વચ્ચે ચૌદમી-પંદરમી સદીનાં અનેક સ્થાપત્યો આજે પણ અડીખમ ઊભાં છે. અભાપુરનું ખંડિત સૂર્યમંદિર, લાખેણાનાં દેરાં, શાર્ણેશ્ર્વરનું પ્રાચીન શિવમંદિર એ સમગ્ર પોળો સંસ્કૃતિને ખૂબ જ સુંદર રીતે વ્યક્ત કરે છે. આ બધો ઐતિહાસિક વારસો અને અહીનું વાતાવરણ એ પર્વત, નદી અને પ્રકૃતિના ત્રિવિણી સંગમ દ્વારા પોળોના જંગલને વિશિષ્ટ બનાવે છે. પોળો નામે અહીં પ્રાચીન નગરી હતી, જેના અવશેષો આજે પણ જોવા મળે છે.

 

 

‘પોળો’ એટલે મારવાડી ભાષામાં ‘પ્રવેશદ્વાર’. અહીંથી ગુજરાતમાં પ્રવેશ થાય છે. વણજ ડેમ અને હરણાવ નદીનો કુદરતી વૈભવ હિલસ્ટેશન જેવો લાગે છે.  જો વૃક્ષ પરથી પાંદળું પણ નીચે પડે તો એક સંગીતમય અવાજ આવે તેવી પ્રાકૃતિક નિરવ શાંતિનો અનુભવ કરાવે એવી આ જગ્યા છે. અનેકવિધ વૃક્ષો અને ભાતભાતનાં પક્ષીઓ થકી સમગ્ર વન જીવંત બને છે. અહીં ઊડતી ખિસકોલીની અજાયબી જોવા મળે છે. આ એક પ્રાચીન શહેર અને રાજસ્થાનનું પ્રવેશદ્વાર માનવામાં આવે છે.

પ્રાકૃતિક વૈભવની સંપદા ધરાવતા આ જંગલમાં લગભગ 350 જેટલી અલભ્ય વન્ય વનસ્પતિઓ અને ઔષધીઓ મળી આવે છે. અહીં, ઔષધીઓની જાળવણી અને ઉછેર માટે એક આયુર્વેદિક ઔષધીય ઉદ્યાન બનાવવામાં આવ્યો છે. જેમાં લગભગ 260 જેટલી અલભ્ય આયુર્વેદિક ઔષધીઓની જાળવણી અને ઉછેર કરવામાં આવે છે. અહીંં વન્યજીવોની જાણકારી અને પ્રચાર-પ્રસાર માટે એક પ્રદર્શન પણ આવેલું છે.

ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાથી સમૃદ્ધ એવા આ વિસ્તારના ભીલ અને આદિવાસી લોકો, એમના પહેરવેશ અને કલાત્મક ઘરેણાં આ વિસ્તારને સાંસ્કૃતિક રીતે વિશેષ બનાવે છે. એવું પણ કહેવાય છે કે ઐતિહાસિક રીતે મહત્વના અને લગભગ 1000 વર્ષ જુના સ્મારકો ધરાવતા પોળોના આ વિસ્તારમાં ભારતના પનોતા પુત્ર મહારાણા પ્રતાપે એમના સંઘર્ષકાળ દરમિયાન આશરો લીધો હતો. આઝાદીના સમયે અહીંના અંતરિયાળ વિસ્તારમાં આવેલ પાલ દૃઢવાવ ગામમાં માર્ચ-1922માં એક મોટો હત્યાકાંડ સર્જાયો હતો. એ ગોઝારા દિવસે 1200 વનવાસીઓને ગોળીએ વીંધી દેવાયા હતા. અંગ્રેજ સરકારના લગાન વધારવાના જુલમ સામે ઝઝૂમવા દૃઢવાવ ગામે આંબાની હેર સમાન હારોવાળા આંબાહેર નદીના કાંઠે એક સભા બોલાવી હતી. વનવાસી પ્રજા મોટા જનસમૂહમાં એકઠી થયેલ હોઈ એમબીસીના અંગ્રેજ ઑફિસર મેજર એચ.જી. સટને પરિસ્થિતિને પારખી જતાં ગોળીબારનો આદેશ આપ્યો હતો. આ દિવસે જલિયાંવાલા બાગમાં જેટલા લોકો શહીદ થયા હતા તેના કરતાં વધુ લોકો અંદાજે 1200 જેટલા લોકો પાલ દૃઢવાવમાં ગોળીએ વીંધાઈ ગયા હતા. રાજ્ય સરકારે પાલ ગામે વનવાસી સમાજની શહાદતને કાયમી સંભારણા સ્વરૂ‚પે પુન: તાજી કરવા કલેકટરશ્રીના સાંનિધ્યમાં પાલ ગામે સરકારી પડતર જમીન ફાળવીને તે વખતના નામીઅનામી શહીદ થનાર સૌ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પવા શહીદ સ્મારક તૈયાર કરી તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર મોદીના હસ્તે ખુલ્લું મૂક્યું હતું.

પોળો એ કુદરતના ખોળે વસેલું એક રમણીય પ્રવાસન સ્થળ છે. પ્રવાસનની દ્રષ્ટિએ જોઈએ તો નજીકમાં અંબાજી, સાબરમતી નદી પરનો ધરોઈ ડેમ, શામળાજી, ઈડરિયો ગઢ વગેરે જોવાલાયક સ્થળો પણ આવેલાં છે. ‘પોળો ઉત્સવ’ એ ગુજરાતની અસ્મિતાનું આધુનિક પ્રકરણ છે. અહીં, સ્થાનીય વહીવટી તંત્ર અને ગુજરાતના પ્રવાસન વિભાગ દ્વારા પર્યાવરણ જાળવણી માટે જાગૃતતા ફેલાય તે માટે ઘણા વિશિષ્ટ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. તો મિત્રો, કુદરતની નયનરમ્ય કવિતા એવા પોળોની એક વાર મુલાકાર લઈ તાજગી, આહલાદકતા, આધ્યાત્મિક શાંતિ અને આનંદનો અનુભવ કરીએ.

 

Pankaj Patel

कक्षा 12 मे जीव विज्ञान पसंद था फिर भी Talod कॉलेज से रसायण विज्ञान के साथ B.sc किया। बाद मे स्कूल ऑफ सायन्स गुजरात युनिवर्सिटी से भूगोल के साथ M.sc किया। विज्ञान का छात्र होने के कारण भूगोल नया लगा फिर भी नकशा (Map) समजना और बनाना जैसी पूरानी कला एवम रिमोट सेंसिंग जैसी नयी तकनिक भी वही सीखी। वॉशिंग पाउडर बनाके कॅमिकल कारखाने का अनुभव हुआ तो फूड प्रोसेसिंग करके बिलकुल अलग सिखने को मिला। मशरूम के काम मे टिस्यु कल्चर जैसा माईक्रो बायोलोजी का काम करने का सौभाग्य मिला। अब शिक्षा के क्षेत्र मे हुं, अब भी मै मानता हूँ कि किसी एक क्षेत्र मे महारथ हासिल करने से अलग-अलग क्षेत्रो मे सामान्य ज्ञान बढाना अच्छा है। Follow his work at www.zigya.com

More Posts

  1. Bipin Bipin

    Niceand buteful

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *