Press "Enter" to skip to content

શીર્ષાસન

Yogesh Patel 0

શીર્ષાસનને આસનોનો રાજા કહેવામાં આવે છે. માથાના બળે કરવામાં આવતુ હોવાથી આ આસનને શીર્ષાસન કહેવામાં આવે છે. આપણા શરીરના બધા જ તંત્રોની તંદુરસ્તી જાળવવા જો એક આસનનું નામ લેવાનું હોય તો શીર્ષાસનનું લઈ શકાય. ખાસ કરીને નાડીતંત્રને ચેતનવંતી બનાવવા તથા શારીરિક અને માનસિક તનાવમાંથી મુક્તિ મેળવવા માટે શીર્ષાસન અજોડ છે. શીર્ષાસન માનવો માટે અમૃત સમાન છે. જરા અને વ્યાધિને પણ દૂર કરે અને શરીરને સર્વાંગે નિરોગી બનાવે તેવું સર્વશ્રેષ્ઠ રસાયણ છે.

મૂળ સ્થિતિ : શીર્ષાસન કરવા માટે સૌથી પહેલા સમતળ જમીન ઉપર નરમ આસન પાથરી વજ્રાસનની અવસ્થામાં બેસી જાઓ.

પદ્ધતિ :

  • સૌપ્રથમ નરમ આસન બિછાવો. જમીન પર કે સખત આસન પર શીર્ષાસન કરવું યોગ્ય નથી કારણ કે એમાં શરીરનો ભાગ આસન પર મૂકી આખા શરીરનું વજન એના પર મુકવામાં આવે છે.
  • વજ્રાસનમાં બેસો અને શરીરને ઢીલું છોડી દો. આંખો બંધ કરવી.
  • ઘુંટણીયે બેસી હાથની આંગળીઓના અંકોડા ભીડાવો.
  • હવે માથાનો ભાગ અંકોડા ભરાવેલા બંને હાથની વચ્ચે ગોઠવો.
  • બંને હાથ એવી રીતે ગોઠવો કે શરીરનું વજન જ્યારે હાથ પર આવે ત્યારે સંતુલન બની રહે.
  • હવે ધડ સીધું રહે તે રીતે ઢીંચણને જમીનથી અધ્ધર કરો. આ વખતે પગના અંગુઠાઓ જમીન પર જ હશે. પગને વાળ્યા વગર શરીરનું વજન કોણી તરફ સરકાવતા જાવ.
  • આ સ્થિતિમાં શરીરનું સમતોલન સાચવી જરાપણ આંચકો આપ્યા વિના હાથ-કોણી અને પંજાને હળવેથી ખેંચતા પગના પંજા જમીનથી અધ્ધર થશે.
  • એકાદ ક્ષણ આ સ્થિતિમાં રહ્યા પછી બંને પગને શરીની સીધી લીટીમાં લઈ આવો.
  • પ્રથમ વખત શીર્ષાસન કરતાં હોય તો પંદરથી ત્રીસ સેકંડ સુધી આ સ્થિતિમાં રહો.
  • હવે  જે ક્રમમાં આસન કર્યું તેથી ઉલટા ક્રમમાં આસનથી મુળ સ્થિતિમાં આવો.
  • એકાદ મિનિટ જેટલો સમય માથાને બે પંજા વચ્ચે રાખીને આસનની શરૂઆતમાં જે સ્થિતિ હતી તેમાં રહો. પછી શવાસન કરી શરીરને આરામ આપો.

ધ્યાનમાં રાખવાની બાબતો :

  • આંખોને હળવીથી બંધ કરવી.
  • શરીરને ઢીલું છોડી દેવું.
  • શ્વાસોશ્વાસ સામાન્ય રાખવા.
  • ઉતાવળ કે ઝડપ કરવી નહીં.
  • શરૂઆતમાં વધારે સમય આ આસનમાં ન રહેવું.
  • જેટલી ચોકસાઈથી આ આસનમાં ગયા હતા તેટલી જ ચોકસાઈથી પાછા ફરવું.
  • ધીરે ધીરે સંતુલન જાળવવાનો પ્રયત્ન કરવો.
  • શરૂઆતમાં દીવાલને ટેકે આ આસન કરવું હિતાવહ છે.

શીર્ષાસન

ફાયદા :

  • શીર્ષાસનથી આપણુ પાચનતંત્ર સ્વસ્થ રહે છે.
  • મસ્તિસ્કમાં રક્ત સંચાર વધે છે.
  • સમય પહેલા વાળ ખરવા અને સફેદ થવાની સમસ્યાને દૂર કરે છે.
  • આ આસનથી આપણા આખા શરીરની માંસપેશીઓ એક્ટિવ થઈ જાય છે.
  • રક્તાભિસરણની ક્રિયા સરળ બનવાથી લોહીના વિકારોથી થતા રોગો મટે છે.
  • હૃદયને સૌથી વધુ આરામ આપનાર કોઈ આસન હોય તો તે શીર્ષાસન છે.
  • સ્મરણ શક્તિ વધે છે. બુદ્ધિ તીક્ષ્ણ થાય છે.
  • જ્ઞાનતંતુની નબળાઈને કારણે લાગતી અશક્તિ, અનિદ્રા, સુસ્તી વગેરે દૂર થાય છે. શીર્ષાસન જ્ઞાનતંતુઓ માટે અકસીર ટોનિક સાબિત થાય છે.
  • આંખ, કાન, નાક, ગળા વગેરેના સામાન્ય દોષો દુર થાય છે.
  • અજીર્ણ, મંદાગ્નિ કે કબજિયાત દૂર થાય છે.
  • સાધકો માટે શીર્ષાસન કલ્પવૃક્ષ સમાન છે.

સાવચેતી :

  • સ્વસ્થ અને નિરોગી લોકોએ જ શીર્ષાસન કરવું.
  • જે વ્યક્તિને બ્લડ પ્રેશરની ફરિયાદ હોય તેમને આ આસન ક્યારેય ન કરવું.
  • આંખોની કોઈ બીમારી હોય, ત્યારે પણ આ આસન ન કરવું જોઈએ. બે કે ત્રણથી વધુ ચશ્માંના નંબર હોય તો તેણે શીર્ષાસન કરવાથી દૂર રહેવું કારણ કે તેનાથી નંબર વધવાનો ભય રહે છે.
  • ગરદનની કોઈ સમસ્યા હોય તો પણ આ આસન ન કરવું.
  • જે વ્યક્તિઓને કાનમાં સુઃખતું હોય કે પરું નીકડતું હોય તેમણે આ આસન ન કરવું.
  • શીર્ષાસન કરતાં પહેલાં પેટ સાફ થયેલું હોવું ખુબ જ જરૂરી છે.
  • ઉંમરમાં વૃદ્ધ હોય તેવાઓએ આ આસન શરૂ કરવું નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *