CBSE
ખોરાકનાં પોષક તત્વોનો કાર્યશક્તિ મેળવવા, વૃદ્વિ અને અન્ય જૈવિક ક્રિયાઓ જાળવી રાખવા શરીરમાં ઉપયોગ કરવાની ક્રિયાને પોષણ કહે છે.
પરાવલંબી પોષણ:
બધા જ સજીવો તેમના પર્યાવરણમાં અનુકૂલિત થયેલા હોય છે. પરાવલંબી પોષણ પદ્વતિ સજીવોની ખોરાકની પ્રાપ્તિ અને તેઓ ખોરાક કેવી રીતે મેળવે છે તેના આધારે જુદી પડે છે. પરાવલંબી પોષણમાં સજીવો પોતાના ખોરાકનું કાર્બન ડાયૉક્સાઇડ, સૂર્યપ્રકાશ અને પાણીના ઉપયોગથી સંશ્લેષણ કરી શકતા નથી. સજીવો વનસ્પતિ અને પ્રાણીમાંના કાર્બનિક પદાર્થોના પાચન દ્વારા પરાવલંબી પોષણ મેળવે છે. આ પ્રકારના પોષણમાં ખોરાક લીધા પછી તેનું પાચન સરળ સ્વરૂપમાં થાય છે અને સજીવ તેનો ઉપયોગ કરે છે. ઉદાહરણ તરીકે બધા પ્રાણીઓ, બેક્ટેરિયા અને ફુગ.
પરાવલંબી પોષણના પ્રકાર:
(1) મૃતોપજીવી પોષણ:
મૃત અને સડી ગયેલા સેન્દ્રિય પદાર્થોનું શોષણ સજીવો તેની શરીરદીવાલ દ્વારા કરે છે. સજીવો સંપૂર્ણપણે નિર્જીવ પદાર્થો પર આધારિત હોય છે. ઉદાહરણ તરીકે બૉક્તેરિયા અને ફુગ.
(2) પરોપજીવી પોષણ:
પોષણ માટે એક સજીવ બીજા સજીવ પર આધાર રાખતા હોય તો તેવા પ્રકારના પોષણને પરોપજીવી પોષણ કહે છે. સજીવ જેમાંથી ખોરાક મેળવે છે તેને 'યજમાન' કહે છે. પરોપજીવી યજમાન સાથે ગાઢ સંબંધ ધરાવે છે અને તેમાંથી ખોરાક મેળવે છે. યજમાનને કોઈ ફાયદો નથી નુકશાન થાય છે. બૅક્ટેરિયા, ફુગ, અમરવેલ જેવી વનસ્પતિ અને પટ્ટીકૃમિ, કરમિયા વગેરે પ્રાણીઓ પરોપજીવી તરીકે જીવે છે.
(3) પ્રાણીસમ પોષણ:
આ પ્રકારના પોષણમાં વનસ્પતિ અથવા પ્રાણીઓના ભાગો અથવા આખા સજીવને ખોરાક તરીકે લેવામાં આવે છે અને પછી ઉત્સેચકોની મદદથી તેનું પાચન થઈ સરળ પદાર્થોમાં ફેરવાય છે. પ્રાણીના શરીરના કોષો દ્વારા તેનું શોષણ થાય છે. અપાચિત ખોરાક પ્રાણીશરીરની બહાર મળોત્સર્જન દ્વારા ફેંકાય છે.