સમજાવો : વિવિધતા જાતિઓના અસ્તિત્વ માટે ઉપયોગી છે. અથવા જાતુઓના અસ્તિત્વ માટે વિવિધતા કેવી રીતે ઉપયોગી છે ? ઉદાહરણ આપી સમજાવો.
વસતિના સજીવો પદ્વતિઓ અથવા નિવસનતંત્રમાં પ્રજનન કરે છે. પ્રજનન દરમિયાન શરીરની રૂપરેખાના લક્ષણની જાળવણી માટે DNAની નકલ મહત્ત્વની છે. આથી પ્રજનન એ જાતિની ચોક્કસ વસતિની સ્થિરતા સાથે જોડાયેલ છે.
જીવન-પદ્વતિમાં વિવિધ ફેરફાર આવી શકે છે. આવા ફેરફારો સજીવોના નિયંત્રણમાં હોતા નથી. આવા ફેરફારોમાં પૃથ્વીના તાપમાનમાં વધઘટ, પાણીના સ્તરમાં ફેરફાર, ઉલ્કા દ્વારા થતી અસર કે બીજા કોઈ પર્યાવરણીય અસંતુલન હોઈ શકે છે.
પરંતુ, વસતિના કેટલાક સજીવોમાં થોડી પણ વિવિધતા રહેતી હોય તેઓ માટે બદલાતી જીવન-પદ્વતિમાં અસ્તિત્વ ટકાવવા માટેની થોડી તકો મળી રહે છે. પ્રજનનની ક્રિયામાં DNAની નકલોમાં થતા કોઈક ફેરફારથી વિવિધતા સર્જાય છે. આવી વિવિધતા બદલાયેલી જીવન-પદ્વતિમાં અનુકૂળ થવામાં મદદરૂપ નીવડે છે.
ઉદાહરણ : બૅક્ટેરિયાની એક વસતિ મધ્યમ તાપમાન ધરાવતા પાણીમાં જીવંત રહી શકે છે. પરંતુ ગ્લોબલ વૉર્મિંગને કારણે પાણીના તાપમાનમાં વધારો થયો અને તેથી ઘણા બૅક્ટેરિયા મૃત્યુ પામ્યા. કેટલાક તાપમાન પ્રતિરોધક બૅક્ટેરિયા આ બદલાતા પર્યાવરણમાં જીવંત રહી વૃદ્વિ પામી શકે છે.
આમ, વિવિધતા જાતિઓના અસ્તિત્વ માટે ઉપયોગી છે.