CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
સામાજિક પરિવર્તન એ દરેક સમાજની સાહજિક પ્રક્રિયા છે. કેટલાક સમાજોમાં ઝડપી, તો કેટલાક સમાજોમાં ધીમું પરિવર્તન થતું હોય છે. કોઇ પણ સમાજ સંપૂર્ણપણે સ્થિર હોતો નથી. કોઈ પણ સમાજની તેના ભૂતકાળ અને વર્તમાનકાળને ધ્યાનમાં રાખીને તુલના કરવામાં આવે, તો ઘણા ફેરફારો જોવા મળે છે. આ ફેરફારો એ ‘સામાજિક પરિવર્તન’ છે.
સામાજિક પરિવર્તનના લક્ષણો :
1 સામાજિક પરિવર્તન એક સામાજિક પ્રક્રિયા છે :
સામાજિક પરિવર્તન સતત ચાલુ રહેતી એક પ્રક્રિયા છે, પ્રત્યેક સમાજનું તે સાહજિક લક્ષણ છે. સામાજિક સંબંધો અને તેના પરિણામે રચાતી સામાજિક વ્યવસ્થાઓ, સતત પરિવર્તનની પ્રક્રિયા અનુભવે છે. મેકાઇવરના મતે, “સમાજ સામાજિક સંબંધોની પ્રક્રિયા છે. સામાજિક સંબંધો સ્થિર નથી, પરંતુ તે સતત પરિવર્તનશીલ હોવાથી સમાજ પણ સતત અને અવિરતપણે પરિવર્તન પામે છે.
2 સામાજિક પરિવર્તન સાર્વત્રિક પ્રક્રિયા છે :
સામાજિક સંબંધો અને તેના પરિણામે રચાતી સામાજિક વ્યવસ્થાઓ પરિવર્તનની સતત પ્રક્રિયા અનુભવે છે. વિશ્વના દરેક સમાજમાં સામાજિક પરિવર્તન જોવા મળે છે. પરિવર્તનની માત્રા અને ગતિમાં તફાવત હોઈ શકે છે. મહિલાઓની સમાનતા અને સ્વતંત્રતાના મુદ્દે વિશ્વના તમામ દેશોમાં હકારાત્મક પરિવર્તનો આવી રહ્યાં છે. ભારતના કેટલાક પ્રદેશોમાં મહિલાઓને શિક્ષણ અને વ્યવસાયમાં પુરુષ સમોવડી બનવાની તક મળી છે, પરંતુ અન્ય પ્રદેશોમાં સમાનતાના ક્ષેત્રે પ્રગતિ ધીમી થઈ રહી છે.
3 સામાજિક પરિવર્તન રચનાતંત્રમાં પરિવર્તન સૂચવે છે :
સામાજિક રચનાતંત્રના વિવિધ વિભાગોમાં થતાં પરિવર્તનો સામાજિક રચનાતંત્રમાં થતાં પરિવર્તનો સૂચવે છે.
4 સામાજિક પરિવર્તન કાર્યોમાં પરિવર્તન સૂચવે છે :
સામાજિક પરિવર્તન જેમ સામાજિક રચનાતંત્રમાં પરિવર્તન સૂચવે છે તેમ સામાજિક કાર્યોમાં પણ પરિવર્તન સૂચવે છે. દા. ત., કુટુંબનું સમાજીકરણ, પ્રજોત્પાદન, આર્થિક રચના, જીવનિર્વાહની ચીજવસ્તુ પૂરી પાડવી, શિક્ષણ, ધર્મ વગેરે સામાજિક કાર્યો છે. સામાજ્ક પરિવર્તન આ બધા સામાજિક કાર્યોમાં પણ પરિવર્તનો સૂચવે છે.
5 સામાજિક પરિવર્તન સ્વયંજનિત અને આયોજિત પ્રક્રિયા છે :
સામાજિક પરિવર્તન સ્વયંજનિત અને આયોજિત પ્રક્રિયાના ભાગરૂપે પણ વિકસે છે. દા. ત., ઉદ્યોગીકરણ અને શહેરીકરણને પરિણામે વિભિન્ન જ્ઞાતિ અને ધર્મનો લોકો એકબીજાના સંપર્ક અને સહવાસમાં આવતાં પરસ્પર સહાનુભૂતિ અને આદરનું વાતાવરણ સર્જે છે. આ પરિસ્થિતિના કારણે વિચારો અને મૂલ્યોમાં જે સામાજિક પરિવર્તન આવ્યું તેને ‘સ્વયંજનિત પરિવર્તન’ કહેવાય. આધુનિક યુગમાં આયોજિત વિકાસનાં પરિબળોએ મહત્વનો ભાગ ભજવ્યો છે. માનવીએ બુદ્વિપૂર્વક, હેતપૂર્વક આયોજન કરી સમાજમાં પરિવર્તન લાવવામાં ફાળો આપ્યો છે. કાયદાઓ દ્વારા છોકરીઓ માટે લગ્નવય 18 વર્ષ અને છોકરાઓ માટે લગ્નવય 21 વર્ષ રાખવામાં આવી છે. તેના પરિણામે બાળલગ્નો અટક્યાં છે અને શિક્ષણનું પ્રમાણ વધ્યું છે. આ કારણોના લીધે આવતું પરિવર્તન આયોજિત પ્રક્રિયાના ભાગરૂપે છે.
સાંસ્કૃતિક પરિવર્તનો પૈકી જે પરિવર્તનો સામાજિક સંગઠનોમાંથી ઉદભવે છે અને સામાજિક સંગઠન ઉપર અસર કરે છે તે સાંસ્કૃતિક પરિવર્તનો સામાજિક પરિવર્તનો છે.