સંસ્કૃતિનો અર્થ આપી સંસ્કૃતિના વિભાગો ટુંકમા સમજાવો.
માનવી એ એક સામાજિક પ્રાણી છે. વ્યક્તિ અને સમાજ પરસ્પર સબંધિત છે. વ્યક્તિ વિનાના સમાજની કલ્પના થઇ શકતિ નથી. સમાજ વગર માનવીની સભ્યતા કે સંસ્કૃતિ અસ્તિત્વ ધરાવી શકતી નથી. સંસ્કૃતિ માનવસમાજનું આવશ્યક લક્ષણ છે. માનવીના સામાજિક સંબંધોની રચના સંસ્કૃતિ દ્વારા જ થાય છે. ધર્મ, ભાષા, રીતરિવાજો, સંસ્થાઓ, ધોરણો, મૂલ્યો આદર્શો, કાયદા વગેરે સંસ્કૃતિના વિવિધ તત્વો માનવીનુ સામાજિક જીવન શક્ય બનાવે છે.
1. સંસ્કૃતિનો અર્થ :
આપણે સંસ્કૃતિ શબ્દનો ઉપયોગ જુદા જુદા અર્થમાં કરતા હોઈએ છીએ. કોઇ એક માનવસમાજના બૌદ્વિક, આધ્યાત્મિક અને કલાત્મક વારસાને આપણે તે સમાજની સંસ્કૃતિ કહીએ છીએ. પરંતુ સમાજશાસ્ત્રમાં 'સંસ્કૃતિ' એક વિભાવના છે.
સમાજશાસ્ત્રની દ્રષ્ટિએ 'સંસ્કૃતિ' એટલે લાંબા સમયથી સમૂહમાં રહેતા માનવીઓએ સમાજના સભ્યો તરીકે બનાવેલી વસ્તુઓ, વિકસાવેલ સર્વમાન્ય વિચારો, માન્યતાઓ, રહેણીકરણીની અને વર્તન-વ્યવહારની રીતો, સામાજિક ધોરણો અને રચનાઓ. આ સર્વનો સંગ્રહ એટલે સંસ્કૃતિ.
સામાન્ય રિતે જીવન જીવવાની રિતો ને સંસ્કૃતિ કહેવામા આવે છે. જેમા જ્ઞાન, માન્યતા, કલા નીતિ, કાયદો, રિવાજ અને સમાજના સભ્ય તરીકે માનવીએ પ્રાપ્ત કરેલી યોગ્યતાઓ તથા ટેવોનો સમાવેશ થાય છે.
2. સંસ્કૃતિની વ્યાખ્યા :
સામાજિક શાસ્ત્રોના જ્ઞાનકોશમાં ઇ.સ. 1931 માં વિશ્વપ્રસિદ્વ માનવશાસ્ત્રી મેલિનોવ્સ્કીએ આપેલી
સંસ્કૃતિની વ્યાખ્યા : "સંસ્કૃતિ એ વારસામા મળેલાં ઓજારો, સાધનો, હથિયારો, ચીજવસ્તુઓ, ટેકનિકી પ્રક્રિયાઓ, વિચારો, ટેવો અને મુલ્યોની બનેલી છે."
સમાજશાસ્ત્રી ટાઇલરના મત પ્રમાણે, " સમાજના સભ્ય તરીકે મનુષ્યે મેળવેલાં જ્ઞાન, માન્યતા, કલા, કાયદા, કાનુન, નીતિનિયમો, રીતરિવાજો તથા અન્ય સર્વ શક્તિઓ અને ટેવોનો બનેલો સમગ્ર સંકુલ એટલે સંસ્કૃતિ."
એલી ચિનોઇના મત પ્રમાણે સંસ્કૃતિ એટલે, "પ્રત્યેક સમાજની પોતાની આગવી જીવંશૈલી છે, જે સમાજના સભ્યોના વિચારો, લાગણીઓ અને વર્તનોને અપેક્ષિત ઘાટમાં ઢાળે છે."
3. સંસ્કૃતિના વિભાગો :
ભારતીય સંસ્કૃતિ સદીઓ પુરાણી છે. જેમ જેમ સમય પસાર થયો તેમ તેમ નવાં તત્વો સમાતાં ગયાં છે. એકવીસમી સદીની શરૂઆતમાં ભારતીય સંસ્કૃતિ અનેકવિધ પાસાંઓને સમાવતી 'ભાતીગળ સંસ્કૃતિ' તરીકે ઊપસી આવી છે. ભારતીય સંસ્કૃતિનાં એક તત્વો છે. ભારતીય સંસ્કૃતિને સમજવા માટે તેને ત્રણ વિભાગોમાં વહેંચવામાં આવે છે જે નીચે પ્રમાણે છે :
- પ્રશિષ્ટ-ભદ્રવર્ગીય-માર્ગીય પરંપરા - જુદી જુદી વિદ્યાશાખાઓ, ભાષાઓ અને કલાઓનો સમાવેશ થાય છે.
- લોકસંસ્કૃતિ અથવા દેશી પરંપરા : ભારતની મોટા ભાગની પ્રજા સદીઓથી લોકસંસ્કૃતિ સાથે સંકળાયેલી છે. ભૌગોલિક વાતાવરણ અને લોકસંસ્કૃતિને નિકટનો સંબંધ છે.
- આદિવાસી સાંસ્કૃતિક પરંપરા : આદિવાસી સાંસ્કૃતિક પરંપરા ભૌગોલિક અને વસ્તીવિષયક પરિસ્થિતિ સાથે ગાઢ સંબંધ ધરાવે છે. આદિવાસીઓ મહદઅંશે પર્વતીય અને જંગલ વિસ્તારોમાં વસવાટ કરે છે.