વિચારવિસ્તાર કરો :
ઉગે કમળ પંકમાં તદપિ દેવ શિરે ચડે;
નહિ કુળથી કિન્તુ મૂલ મૂલવાય ગુણો વડે.
આ વિચારવિસ્તારમાં કવિએ કમળનું ઉદાહરણ આપતાં કહ્યું છે કે કમળ ભલે કાદવમાં ઊગતું હોય પણ એ દેવને ચડાવાય છે. એ જ પ્રમાણે કોઈ પણ વ્યક્તિનું મૂલ્યાંકન તે કયા કુળમાં કે વંશમાં જન્મી છે તેના આધારે નહી પરંતુ તેનામાં રહેલા ગુણોને આધારે જ કરવું જોઈએ.
કમળ કાદવમાં ઉગે છે પરંતુ તેનામાં રહેલી સુવાસ અને તેનું સૌંદર્ય તેને ઉચ્ચ સ્થાને લઈ જાય છે. તેને મંદિરમાં બિરાજેલા દેવને શિરે ચડાવી ઉંચું સ્થાન આપવામાં આવે છે. એ જ રીતે મનુષ્ય તેનામાં રહેલા સદ્દગુણો વડે જ સમાજમાં ઉચ્ચ સ્થાને બિરાજી શકે છે. મનુષ્યનો જન્મ ક્યં થાય છે કયા કૂળમાં થાય છે એ તેના હાથની વાત નથી પરંતુ સારા ગુણો કેળવવા તે મનુષ્યના હાથની વાત છે. વિદ્યાભ્યાસથી અને સારા ગુણો કેળવીને સમાજમાં મોભાનું સ્થાન પ્રાપ્ત કરી શકે છે અને અનેક લોકો આદરણીય બની શકે છે.