CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
ભારતમાં ભાવવૃદ્વિનાં મુખ્ય કારણો નીચે પ્રમાણે છે:
1 નાણાંના પુરવઠામાં વધારો: દેશના અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધે છે ત્યારે લોકોની આવક વધતાં તેમની ખરીદશક્તિ વધે છે. પરિણામે ચીજવસ્તુઓ અને સેવાઓની માંગમાં વધારો થાય છે. પરંતું એ જ સમયે કુલ પુરવઠામાં થયેલો જંગી વધારો અને ચીજવ્સ્તુઓના ઉત્પાદન તથા પુરવઠામાં થયેલો અપૂરતો વધારો ભાવવૃદ્ધિનું એક કારણ છે. સરકારના યોજનાકીય અને બિનયોજનાકીય ખર્ચમાં વધારો થયાં તે ખાદ્યપુરવણી દ્વારા પરોક્ષ રીતે નાણાંનો પુરવઠો વધે છે તે સાથે લોકોની નાણાંકીય આવકો વધે છે. પરિણામે ચીજવસ્તુઓ અને સેવાઓની માંગમાં તાત્કાલિક વધારો થાય છે.
માંગના પ્રમાણમાં પુરવઠો પ્રાપ્ત ન થતાં બંને વચ્ચે અસમતુલા સર્જાય છે. પરિણામે ભાવવૃદ્વિ થાય છે. આ ઉપરાંત, બૅન્કો દ્વારા અપાતી સસ્તી લોન કે ધિરાણ લોકોના હાથમાં નાણાંનો પુરવઠો વધારે છે. તે ચીજવસ્તુઓની માંગમાં વધારો કરીને ભાવવૃદ્વિ કરે છે. આમ, ભારતમાં ભાવવૃદ્વિ એ કુલ માંગ અને કુલ પુરવઠા વચ્ચેની અસમતુલાંનું પરિણામ છે.
2. વસ્તીવૃદ્વિ : ભારતમાં થતા ઝડપી વસ્તીવધારાને લીધે ચીજવસ્તુઓ અને સેવાઓની માંગમાં ઉત્તરોત્તર વધારો થાય છે, જેથી માંગ અને પુરવઠા વચ્ચે અસમતુલા સર્જાતાં ભાવવૃદ્વિ થાય છે.
3. નિકાસમાં વધારો: વિદેશોનાં બજારોમાં દેશનાં ઉત્પાદનોની માંગમાં વધારો થતાં સરકાર તેની નિકાસ વધારવા પ્રોત્સાહક પગલાં ભરે છે. પરિણામે નિકાસી ચીજવસ્તુઓની દેશમાં અછત સર્જાય છે. આ સ્થિતિમાં માંગ સામે પુરવઠામાં ઘટાડો થતાં ભાવવૃદ્વિ થાય છે.
4. કાચા માલની ઊંચી કિંમતે પ્રાપ્તિ: ચીજવસ્તુઓના કાચા માલની કિંમતો વધે છે ત્યારે ઉત્પાદન ખર્ચ વધે છે, જેનાથી ચીજવસ્તુઓની કિંમતો વધે છે.
ચીજવસ્તુઓનો ભાવવધારો વેતનધારાની માગણી ઊભી કરે છે અને તે સંતોષવામાં આવે ત્યારે ચીજવસ્તુઓના ઉત્પાદન ખર્ચમાં વધારો થાય છે, જે ફરીથી ભાવવૃદ્વિમાં પરિણમે છે. આમ, ભાવવૃદ્વિનું ચક્ર ચાલ્યા કરે છે.
5. કાળું નાણું : હિસાબી ચોપડે નહી નોંધાયેલી અને જેના પર કરવેરો ચૂકવ્યો નથી તેવી બિનહિસાબી આવક કાળું નાણું કહેવાય છે. કાળું નાણું ધરાવતા લોકો ચીજવસ્તુઓ અને સેવાઓની માંગ વધારે છે. પરિણામે ભાવવધારો થાય છે.
કેટલીક વાર કાળું નાણું સંગ્રહખોરી અને સટ્ટાકીય પ્રવૃત્તિઓ માટે જરૂરી ભંડોળ પૂરું પાડે છે. આમ, કાળું નાણું ભાવવધારાને પોષે છે.
કાળું નાનું ધરાવતી વ્યક્તિઓ આવકવેરાના હાથે પકડાઈ જવાની બીકે તે નાણાંને વહેલી તકે ખર્ચી નાખવાનું વલણ ધરાવે છે. તેઓ તેમના મોજશોખ કે વૈભવની વસ્તુઓ ગમે તેટલા ઊંચા ભાવે ખરીદતાં અચકાતા નથી. આ પરિસ્થિતિ ચીજવસ્તુઓની ભાવવૃદ્વિ કરે છે.
6. સરકાર દ્વારા ભાવવધારો : સરકાર વહીવટી આદેશો બહાર પાડી પેટ્રોલિયમ પેદાશો, કુદરતી ગૅસ, કોલસો, લોખંડપોલાદ, ઍલ્યુમિનિયમ, વીજળી, રાસાયણિક ખાતરો, સ્ટેટ ટ્રાન્સપોર્ટ વગેરેના ભાવ વધારે છે.
સરકાર દ્વારા અનાજ અને અન્ય કૃષિપેદાશોના પ્રાપ્તિ ભાવોમાં-ટેકાના ભાવોમાં વખતોવખત કરવામાં આવતો વધારો તે વસ્તુઓના ભાવો વધારે છે.
7. કુદરતી અને માનવીય પરિબળો :અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ધરતીકંપ, રોગચાળો જેવી કુદરતી આપત્તિઓ અને યુદ્વ, તોફાનો, આંદોલનો, હડતાલો, તાળાબંધી, ભાંગફોડ કે ઔદ્યોગિક અશાંત જેવાં કારણોસર ઉત્પાદનનો ઘટે છે અને તેની અછત સર્જાય છે. આમ, માંગના પ્રમાણમાં પુરવઠામાં ઘટાડો થતાં ભાવવધારો થાય છે.
8. સંગ્રહખોરી અને નફાખોરી :અનાજ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓના ઉત્પાદનમાં અનિશ્વિતતાઓ હોવાને લીધે અવારનવાર અછતની પરિસ્થિતિ સર્જાય છે. આવી પરિસ્થિતિમાં ઊંચી કિંમતોની લાભ લેવાની વૃત્તિથી વેપારીઓ ચીજવસ્તુઓની સંગ્રહખોરી કરે છે.
ભવિષ્યમાં અમુક વસ્તુઓના ભાવો વધવાના છે એવી અટકળ, અફવા કે આગાહીને લીધે ભવિષ્યમાં એ વસ્તુઓના ભાવવધારાનો લાભ ઉઠાવવા ઉત્પાદકો અને વેપારીઓ એ વસ્તુઓની સંગ્રહખોરી કરી કૃત્રિમ અછત સર્જે છે. એ પછી તેઓ ગ્રાહકો પાસેથી ઊંચા ભાવો લઈને નફાખોરી કરે છે.
આમ, સંગ્રહખોરી અને નફાખોરી ચીજવસ્તુઓના ભાવમાં વધારો કરે છે.