CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
ચેતના અંગે ભારતમાં હિન્દુ, જૈન અને બૌદ્ધ ધર્મની પરંપરામાં અત્યંત ઊંડાણપૂર્વક અને ગંભીરતાવાળું ચિંતન થયું છે.
ચેતન અંગેનું પૂર્વના દેશોનું આ ચિંતન દાર્શનિક પરંપરાના ભાગરૂપે અને વ્યક્તિગત રહસ્યાનુભવો અને અંતઃસ્ફુરણા પર આધારિત છે.
ભારતમાં હિન્દુ ધર્મ સૌથી વધુ વ્યાપકપણે ફેલાયેલો ધર્મ હોવાથી હિન્દુ ધર્મમાં ‘ચેતના’ અંગેના જે વિચાર રજૂ કરવામાં આવ્યા છે તે સંક્ષેપમાં નીચે મુજબ છે :
હિન્દુ ધર્મમાં ચેતના અંગેના વિચાર : હિન્દુ ધર્મ અનુસાર માનવીનું વ્યક્તિત્વ મુખ્ય બે તત્વોનું બનેલું છે : 1. શરીર અને 2. આત્મા, ‘શરીર’ એ માનવીના વ્યક્તિત્વનો જડ, ભૌતિક અને દ્રવ્યાત્મક અંશ છે, જ્યારે આત્મા અભૌતિક અને ચેતના છે.
હિન્દુ ચિંતન અનુસાર ‘શરીર’ના ત્રણ પ્રકાર છે : 1. સ્થૂલ શરીર, 2. સૂક્ષ્મ શરીર અને 3. કારણ શરીર.
સ્થૂલ શરીર એ માંસ અને હાડકાંનું બનેલું છે અને તે માતા-પિતા દ્વારા પ્રાપ્ત થતું ‘ભૌતિક શરીર’ છે. ઉપનિષદમાં તેને “અન્નમયકોષ’ કહે છે: કારણ કે અન્ન શરીરનું સર્જન, સંરક્ષણ અને સંવર્ધન થાય છે.
‘સુક્ષ્મ શરીર’ એટલે માનવીનું ‘મન’ અને ‘કારણ શરીર’ એટલે આ જન્મ તથા પૂર્વજન્મનાં અચેતન સંકારોનો સમૂહ.
સ્થૂલ શરીર, સૂક્ષ્મ શરીર, અને કારણ શરીર એ ત્રણેય એક એકમ તરીકે કાર્ય કરે છે અને વ્યક્તિના તમામ વ્યક્તિગત અનુભવો, સંવેદનો, લાગણી, પ્રત્યક્ષીકરણો, વિચારણા વગેરેને જન્માવે છે.
સ્થૂલ શરીર, સુક્ષ્મ શરીર અને કારણ શરીર જડ છે. તેનો સાક્ષી ‘આત્મા’ છે અને ‘આત્મા’ એ ચેતના છે.
‘આત્મા’ સત્, ચિત્ અને આનંદ સ્વરૂપ છે આમ, આત્મા ‘સચ્ચિદાનંદ સ્વરૂપ’ છે. તે વ્યક્તિની ‘સ્વ’ ઓળખ અને સાતત્ય માટે જવાબદાર છે. ‘આત્મા’ સચ્ચિદાનંદ સ્વરૂપ હોવા છતાં અનાદિ, અજ્ઞાન અને સામાજિકરણની પ્રક્રિયાનેકારણે શરીર સાથે તાદાત્મ્ય સાંધે છે અને શરીરને જ પોતાનું સ્વરૂપ માને છે.
અનિત્ય અને નાશવાન, પરિવર્તનશીલ શરીર સાથે જ્યારે નિત્ય, અવિનાશી અને અપરિવર્તનશીલ, સચ્ચિદાનંદ સ્વરૂપ ‘આત્મા’ જ્યારે તાદાત્મ્ય સાચી છે ત્યારે તે ‘સ્વ’ ઓળખ બને છે. તેને અહમ્ કહેવાય છે. વ્યક્તિ પોતાના જીવનના તમામ વ્યવહારો અને વર્તનો આ અહમ્’ની ઓળખ સાથે કરે છે.
માંડુક્ય ઉપનિષદ અનુસાર જ્યારે નિત્ય, શુદ્ધ, બુદ્ધમુક્ત સચ્ચિદાનદ ‘આત્મા’ સ્થૂલ શરીર સાથે તાદાત્મ્ય સાધે ત્યારે ચેતનાની ‘જાગ્રત અવસ્થા’ સૂક્ષ્મ શરીર સાથે તાદાત્મ્ય સાધે ત્યારે ‘સ્વપ્નાવસ્થા’ અને કારણ શરીર સાથે ગાઢ સ્વપ્નવિહિન નિંદ્રામાં તાદત્મ્ય સાધે ત્યારે ‘સુષુપ્તિ અવસ્થા’ કહેવાય છે. ‘આત્મા’ જ્યારે આ ત્રણેય શરીરથી ભિન્ન પોતાની મૂળ સત્તારૂપે હોય ત્યારે તેને ‘તુરીય અવસ્થા’ કહેવાય.
આમ, ભારતીય મનોવિજ્ઞાન અનુસાર ચેતનાની આ ચાર અવસ્થાઓ દર્શાવવામાં આવી છે : 1. જાગ્રત અવસ્થા. 2. સ્વપ્નાવસ્થા, 3. સુશુપ્તિ અવસ્થા તથા 4. તુરિય અવસ્થા.
‘આત્મા’ અજ્ઞાનવશાત પોતાના સચ્ચિદાનંદ સાક્ષી સ્વરૂપને ભૂલેને ‘શરીર’ સાથે તાદાત્મ્ય સાધી પોતાના ‘અહમ’ ઓળખ સાથે જે કર્મો કરે છે તે તમામ કર્મના સંસ્કારો તેના ‘કારણ શરીર’માં અને ‘અચેતન મન’માં સંગ્રહ થાય છે.
માનવીનું જ્યારે મૃત્યુ થાય છે ત્યારે ‘સૂક્ષ્મ શરીર’ અને ‘કારણ શરીર’થી વીંટળાયેલો આત્મા ‘સ્થૂલ શરીર’નો ત્યાગ કરે છે અને કર્મોનાં સંસ્કારો મુજબ નવો જન્મ લે છે.
આમ, પોતે નિત્ય, શુદ્ધ, બુદ્ધ, મુક્ત અને આનંદ સ્વરૂપ ‘આત્મા’ છે તથા આ ત્રણેય શરીરથી ભિન્ન છે અને ત્રણેય અવસ્થાનો સાક્ષીરૂપ ‘આત્મા’ છે, એવું જ્ઞાન જ્યાં સુધી માનવીને થતું નથી ત્યાં સુધી તેણે સંસારનાંં સુખદુઃખનો અનુભવ કરતાં કરતાં જન્મ-મરણ અને પુનર્જન્મના ચક્રમાં ફસાયેલા રહેવું પડે છે.
માનવીએ જ્યારે આત્મસાક્ષાતકાર થાય છે એટલે કે પોતાના સાક્ષીરૂપ સચ્ચિદાનંદ સ્વરૂપનો અનુભવ થાય છે ત્યારે ‘આત્મા’ ‘જીવનમુક્ત’ તરીકે ઓળખાય છે. આ ‘જીવનમુક્ત’ દશા એ માનવીનાં વ્યક્તિત્વના વિકાસની ચરમસીમા છે.
આ અવસ્થા સુધી પહોંચ્યા પછી વ્યક્તિ જગતનાં સુખદુઃખથી અવિચલિત અને પોતાના આનંદ સ્વરૂપમાં સદાય ‘મસ્ત’ રહે છે. તેને સમસ્ત બ્રહ્માંડની અખંડિતતા અને એકતાનો અનુભવ થાય છે. તે આત્મસત્તારૂપે જીવે છે. કર્મો કરે છે અને સમગ્ર વિશ્વ તેના માટે કુટુંબ બને છે.
માનવવિકસની આ ચરમસિમા પ્રાપ્ત કરવી એટલે કે ‘આત્મસાક્ષાત્કર કરવો’ એ માનવીના જીવનનું મુખ્ય લક્ષ્ય છે.
‘આત્મસાક્ષાત્કાર’ કરવા માટેના ચાર મુખ્ય માર્ગો ભારતીય ચિંતન પરંપરામાં પ્રચલિત છે : 1. જ્ઞાનયોગ : જેમાં શરીર અને આત્માના ભેદનું જ્ઞાન પ્રાપ્ત કરવું, 2. ભક્તિયોગ : જેમા પરમાત્માને સંપોર્ણ શરણાગત થઈ ભક્તરૂપે જીવન જીવવું, 3. કર્મયોગ : અહમ ભાવ કે અહમ્ એળખ સાથે નહિ, પરંતુ સાક્ષીરૂપ આત્માની ઓળખ સાથે નિષ્કામ કર્મો કરવા અને 4. રાજયોગ : મુનિ પતંજલિએ રચેલ ‘અષ્ટાંગ યોગ’ સિદ્ધ કરવો.
આમ, ભારતીય ચિંતનશાસ્ત્રમાં દર્શાવવામાં આવેલા માનવજીવનનું લક્ષ્ય પ્રાપ્ત કરવાના આ ચાર માર્ગોમાંથી પોતાના સ્વભાવ અને રુચિ અનુસાર ગમે તે એક અથવા બધા માર્ગોને અનુસરીને આત્મસાક્ષાત્કાર દ્વારા ચેતનાના મૂળ ’સચ્ચિદાનંદ’ સ્વરૂપને ઓળખવુ છે.
ચેતના અંગેના ભારતીય ચિંતનશાસ્ત્રના આ વિચારને પાશ્વાત્ય ભૌતિક વિજ્ઞાન, પરામનોવિજ્ઞાન, જીવવિજ્ઞાન, મનોવિજ્ઞાન અને ચેતાવિજ્ઞાનનાં સંશોધનો દ્વારા આંશિક વૈજ્ઞાનિક આધાર પ્રાપ્ત થયો છે.