CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
મનોવિજ્ઞાનનું ધ્યેય માનવવર્તનનો અભ્યાસ કરવાનું છે. વ્યક્તિનું વર્તન વિકાસ પર આધારિત છે. બાળકમાં થતા બોધાત્મક વિકાસની સમજુતી નીચે મુજબ છે.
બોધાત્મક વિકાસ (Cognitive Development) : વ્યક્તિના જન્મથી મૃત્યુ સુધી બોધાત્મક વિકાસની પ્રક્રિયા ચાલુ રહે છે. કુટુંબની વ્યક્તિઓ સાથેની આંતરક્રિયા દ્વારા બોધાત્મક વિકાસ ઝડપી બને છે.
સ્વિસ મનોવૈજ્ઞાનિક જીન પિયાજેએ બોધાત્મક વિકાસની સમજૂતી આપી છે. બાળકની વિચારણાની પ્રક્રિયા પુખ્ત વયની વ્યક્તિની વિચારણાની પ્રક્રિયાથી ભિન્ન હોય છે.
બોધાત્મક વિકાસ કેવી રીતે થાય છે તેની સમજૂતી મેળવવા તેના કેટલાક તબક્કાઓને સમજવા જરૂરી છે. જીન પિયાજે બોધાત્મક વિકાસને સમજવા નીચેના તબક્કાઓ જણાવેલ છે.
1. સાંવેદનિક કારક તબક્કો (Sensorimotor stage)
2. પૂર્વ ક્રિયાત્મક તબક્કો (Pre Operational Stage)
3. મૂર્ત ક્રિયાત્મક તબક્કો (Concrete Operational Stage)
4. અમૂર્ત ક્રિયાત્મક તબક્કો (Abstract Operational Stage)
1. સંવેદનિક કારક તબક્કો : જન્મથી બે વર્ષ સુધીના તબક્કાની સાંવેદનિક કારક તબક્કો કહે છે, કારણ કે આ તબક્કા દરમિયાન બાળક વિવિધ ચેષ્ટાત્મક વર્તન અને સંવેદનો વચ્ચોનો સબંધ શોધે છે.
આ સમયગાળામાં બાળક પોતાનું શરીર તેના આસપાસના વાતાવરણથી ભિન્ન છે તેવું શીખે છે. તે પોતાના શરીર પર થતાં વિવિધ સંવેદનો અને ચેષ્ટાત્મક વર્તન વચ્ચેનો સંબંધ બાંધે છે. બાળક દ્રશ્ય, શ્રાવ્ય, સ્વાદ, સ્પર્શ અને સૂંધવાનાં સ્થાપિત થતાં તે કઈ ક્રિયા ક્યારે કરવી અને ક્યારે ન કરવી તે શીખે છે.
છ માસનું બાળક રમકડું પકડવાનો પ્રયત્ન કરે છે. જો આ સમયે રમકડાને ઢાંકીને દેવામાં આવે, તો બાળક તેમાંથી રસ ગુમાવી દે છે. આ ક્રિયામાં બાળક કોઈ આશ્ચર્ય કે બેચેનીનો ભાવ દર્શાવતુંં નથી. પરંતુ આઠ માસનું બાળક જો રમકડાથી રમતું હોય અને રમકડાને ઢાંકી દેવામાં આવે તો તે કપડાને દૂર કરવાનો પ્રયત્ન કરે છે, જે દર્શાવે છે કે બાળકમાં ‘સ્થાયિતત્વનો ખ્યાલ’નો વિકસ થયો છે. જ્યાં સુધી બાળકમાં આ ખ્યાલનો વિકાસ થયો ન હોય ત્યાં સુધી બાળક એમ માને છે કે જે વસ્તુ દેખાતી નથી તે વસ્તુનું અસ્તિત્વ જ નથી.
બે વર્ષનું બાળક અનુકરણ કરીને ઘણી ક્રિયાઓ શીખી જાય છે તે ક્રિયાને ઊલટ-સૂલટ કરી શકે છે. દા.ત. તોડવું અને જોડવું. ઊંચે લઈ જવું અને નીચે લઈ જવું વગેરે. આ ક્રિયાઓ બાળકનો જ્ઞાનાત્મક વિકાસ દર્શાવે છે.
2. પૂર્વ ક્રિયાત્મક તબક્કો : બેથી સાત વર્ષના સમયગાળાને પૂર્વ ક્રિયાત્મક તબક્કો કહે છે. અહીં બાળકે કરેલી માનસિક ક્રિયાનું નિરીક્ષણ કરવામાં આવે છે. આ તબક્કામાં બાળક પદાર્થના આકાર અને તેની ગોઠવણીને ધ્યાનમાં રાખે છે.
ચાર વર્ષનું બાળક પદાર્થનો બાહ્ય દેખાવ સરખો હોય, તો પદાર્થ સરખો છે એમ સમજે છે. દા.ત. માટીના બે સરખા વજનના ગોળા સાથે મૂકવામાં આવે તો તે તેમને સરખા માની લે છે, પરંતું તેમાંથી એક ગોળાનો આકાર લંબગોળ બનાવી દેવામાં આવે તો ચાર વર્ષનું બાળક લંબગોળ આકારના ગોળાને વધારે વજનવાળો ગોળો સમજે છે.
એક સરખા વજનનું દૂધ ધરાવતા બે પ્યાલામાંથી એક પ્યાલાનો આકાર ટૂંકો છતાં પહોળો હોય અને બીજા પ્યાલાનો આકાર ઊભા ઘાટનો હોય, તો ચાર વર્ષનું બાળક ઊભા ઘાટના પ્યાલાનું દૂધ વધારે છે એમ સમજે છે. આકાર લાંબો હોય એટલે તે તેને વધારે વજનવાળો ગણે છે. સાત વર્ષના બાળકમાં તર્કક્રિયા અને કાલ્પનિક વિચારણાનો વિકાસ થયેલો હોય છે. તેથી તે જુદો આકાર હોવા છતાં તેને એકસરખા વજનનો સમજે છે.
પ્રતીકો અને સંજ્ઞાના ઉપયોગ વડે વિચાર કરવાની શક્તિનો વિકાસ એ આ તબક્કાની નોંધપાત્ર બાબત છે. પ્રતિક કોઈ પદાર્થ કે વ્યક્તિનું પ્રતિનિધિત્વ કરે છે. દા.ત. ઢીંગલી એ બાળકનું પ્રતીક છે, પરંતુ તે સંજ્ઞા નથી. પરંતુ ટ્રાફિક સિગ્નલની લાઈટ એ એક સંજ્ઞા છે.
3. મૂર્ત ક્રિયાત્મક તબક્કો : સાતથી બાર વર્ષના સમયગાળાને મૂર્ત ક્રિયાત્મક તબક્કો કહેવામાં આવે છે. સાત વર્ષની ઉપરના બાળકને વજન, કદ અને દળમાં થતા ફેરફારની સમજ પડે છે. બાળકમાં સંખ્યાત્મક અને અમૂર્ત વિચારણાની શક્તિનો આ ઉંમરે વિકાસ થાય છે. આ બધી પ્રક્રિયા પદાર્થલક્ષી હોય છે.
આ તબક્કામાં બાળક ભૌતિક પદાર્થોનો વિચાર કરી શકે છે. પરંતુ ધારણાત્મક કે અમૂર્ત ખ્યાલ અંગે તે તર્ક કરી શકતું નથી. બાળક નજરે જોઈ શકાય તેવા પ્રશ્નોના ઉત્તરો આપી શકે છે. પરંતુ અહિંસા, આત્મા, પરમાત્મા, પ્રમાણિકતા વગેરે ખ્યાલો સમજી શકતું નથી. તે જુદી જુદી લંબાઈની લાકડીઓ ક્રમમાં ગોઠવી શકે છે. આમ, ભૌતિક પદર્થોને લગતો ખ્યાલ તેનામાં સારી રીતે વિકસે છે.
4. અમૂર્ત ક્રિયાત્મક તબક્કો : આ તબક્કાની શરૂઆત બાર વર્ષ પછી થાય છે. આ તબક્કામાં અમૂર્ત તર્ક કરવાની શક્તિનો વિકાસ થાય છે. સ્વચ્છતા, સ્વાતંત્ર્ય, લોકશાહી વગેરે ખ્યાલોને તે સમજે છે. સદ્રષ્ટાંત સમજૂતી મેળવી શકે છે. તે અનુમાન પણ લગાવી શકે તથા અનુમાન પણ કરી શકે છે. આ તબક્કામાં તે વિવિધ વિષયોનું તર્ક બદ્ધ જ્ઞાન મેળવી શકે છે.