ગુજરાતના સાંસ્કૃતિક વારસાનાં સ્થળો વિશે નોંધ લખો.
ગુજરાતના સાંસ્કૃતિક વારસાનાં સ્થળો:
1 ધોળાવીરા અને લોથલ:
- ધોળાવીરા અને લોથલ એ બંને સ્થળો સિંધુખીણની સભ્યતાનાં નગરો હતાં.
- ધોળાવીરા ગુજરાતમાં કચ્છના ભચાઉ તાલુકાના ખરીદી બેટમાં આવેલું છે.
- તે તેની આદર્શ નગરરચના માટે અને હડપ્પીય સંસ્કૃતિના વેપાર-વાણિજ્યના કેન્દ્ર માટે જાણીતું છે.
- આજથી આશરે 5000 વર્ષ પહેલાં અહીં ઘરેણાં અને મણકા બનાવવાનાં કારખાનાં હતાં.
- લોથલ અમદાવાદ જિલાના ધોળકા તાલુકામાં, અમદાવાદ-ભાવનગર-હાઈ-વે નજીક આવેલું છે.
- તે પ્રાચીન સમયમાં વેપાર-વાણિજ્યથી ધમધમતું અને સગવડોવાળું હડપ્પીય સંસ્કૃતિનું બંદર હતું.
2 જૂનાગઢ:
- જૂનાગઢમાં સમ્રાટ અશોકનો શિલાલેખ, ખાપરા-કોડિયાની બૌદ્ધ ગુફાઓ, ઉપરકોટ, જૈનમંદિરો, દામોદર કુંડ, અડીકડીની વાવ, જૂનો રાજમહેલ, નવઘણ કૂવો, બહાઉદ્દીન વઝીરની કબર વગેરે સાંસ્કૃતિક વારસાનાં જોવાલાયક સ્થળો છે.
- દર વર્ષે મહાશિવરાત્રીએ જૂનાગઢમાં ગિરનાર પર્વતની તળેટીમાં ભવનાથનો મોટો મેળો ભરાય છે.
3 અમદાવાદ:
- અમદાવાદ ગુજરાતનું ઐતિહાસિક શહેર છે. તે ગુજરાતનું પાટનગર હતું.
- અમદાવાદમાં ભદ્રનો કિલ્લો, જામા મસ્જિદ, રાણી સિપ્રીની મસ્જિદ, રાણી રૂપમતિની મસ્જિદ, સરખેજનો રોજો, કાંકરિયું તળાવ, ઝૂલતા મિનારા, હઠીસિંગનાં દેરાં, સીદી સૈયદની જાળી વગરે જોવાલાયક સ્થાપત્યો છે.
- ઝૂલતા મિનારા સારંગપુર દરવાજા બહાર રાજપુર-ગોમતીપુરમાં આવેલા છે. તે તેની ધ્રુજારીના વણઉકલ્યા રહસ્ય માટે જાણીતા છે.
- સીદી સૈયદની જાળી તેની અત્યંત બારીક અને સુંદર વાનસ્પતિક ભૌમિતિક કોતરણીને કારણે પ્રખ્યાત છે.
4 પાટણ:
- સહસ્ત્રલિંગ તળાવ અને રાણીની વાવ પાટણનાં પ્રખ્યાત સ્થાપત્યો છે.
- ઇ.સ. 1140 માં સિદ્ધરાજ જયસિંહે સહસ્ત્રલિંગ તળાવ બંધાવ્યું હતું.
- ભીમદેવ પ્રથમની રાણી ઉદયમતિએ શહેરની પ્રજાને પાણી પૂરું પાડવા માટે વાવ બ6ધાવી હતી, જે રાણીની વાવના નામે પ્રસિદ્ધ છે. ઇ.સ. 2014માં યુનેસ્કોએ રાણીની વાવને વૈશ્વિક વારસાનાં સ્થળોમાં સમાવિષ્ટ કરી છે.
5 સિદ્ધપુર:
- પાટણથી 26 કિલોમીટર દૂર આવેલા સિદ્ધપુરમાં રુદ્રમહાલય એક જોવાલાયક સ્થાપત્ય છે. આજે જ્જોવા મળતા રુદ્રમહાલયના ભગ્ન અવશેષો તેની ભવ્યતાની ઝાંખી કરાવે છે.
સાંસ્કૃતિક વારસાનાં અન્ય સ્થળો :
વડનગરમાં કિલ્લો, શર્મિષ્ઠા તળાવ અને કિર્તિતોરણ જોવાલાયક સ્થાપત્યો છે.
અરવલ્લી જિલ્લામાં આવેલું શામળાજી મંદિર મેશ્વો નદીના કિનારે આવેલું પ્રાચીન યાત્રાધામ છે.
જૂનાગઢ જિલ્લામાં બોરદેવી, શામળાજી નજીક દેવની મોરી, જૂનાગઢ-ગિરનારમાં ઇટવા વગેરે સ્થળોએથી બૌદ્ધ સ્તૂપના અવશેષો મળ્યા છે.
બાવાપ્યારા, ઉપરકોટ, ખાપરા-કોડિયા, ખંભાલીડા, તળાજા, સાણા, ઢાંક, ઝીંઝુરીઝર, કેડિયા ડુંગર વગેરે સ્થળોએ ગુફા-સ્થાપત્યો આવેલાં છે.
ગાંધીનગર પાસે અડાલજની વાવ, અમદાવાદમાં અસારવા વિસ્તારમાં દાદા હરિની વાવ, પાટણની રાણીની વાવ, જૂનાગઢની અડીકડીની વાવ તેમજ નડિયાદ, મહેમદાવાદ, ઉમરેઠ, કપડવંજ, વઢવાણ, કલેશ્વરી વગેરે સ્થળોએ વાવો આવેલી છે.
ભાવનગર જિલ્લાના પાલિતાણાના શેતુંજ્ય પર્વત પર અનેક જૈન દેરાસરો આવેલાં છે. તેમાંનાં કેટલાંક દેરાસરોનું નિર્માણ 11મી સદીમાં થેયેલું છે.
મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના ટીંબા ગામ પાસે આવેલી ટેકરીઓ પર તારંગા તીર્થ અને તારામાતાનું મંદિર આવેલાં છે.
ગીરસોમનાથ જિલ્લામાં સોમનાથ મંદિર તેમજ દેવભૂમિ દ્વારકામાં દ્વારકાધીશનું મંદિર આવેલાં છે. આ બંને મંદિરો ભવ્ય ઐતિહાસિક વારસો ધરાવે છે.