CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
કુટુંબ એ સમાજની પાયાની સાર્વત્રિક સંસ્થા છે. કુટુંબસંસ્થા દ્વારા બાળકોનું પ્રજનન અને બાળઉછેર જેવાં મહત્વનાં કાર્યો થાય છે. વ્યક્તિના સામાજિક જીવનનો પ્રારંભ કુટુંબમાંથી થાય છે. વ્યક્તિના જીવન પર કુટુંબની સૌથી વિશેષ અસર જોવા મળે છે. કુટુંબ સમાજ અને સંસ્કૃતિના સાતત્યમાં કેન્દ્રવર્તી સ્થાન ધરાવે છે.
કુટુંબનો અર્થ :
કુટુંબ સાર્વત્રિક હોવા છતાં તેનાં સ્વરૂપ, રચના અને કાર્યમાં તફાવત હોય છે. દા. ત., સંયુક્ત કુટુંબ, વિભક્ત કુટુંબ, માતૃસત્તાક કુટુંબ, પિતૃસત્તાક કુટુંબ વગેરે.
કુટુંબ સગપણ સંબંધ જૂથ છે. પતિ-પત્ની વચ્ચે જોડાણનો સંબંધ છે અને માતા-પિતા તથા ભાઇ-બહેન વચ્ચે લોહીનો સંબંધ છે.
મિકાઇવર અને પેજના મત મુજબ, “કુટુંબ પ્રજનન ને બાળઉછેર માટે ચોક્કસ અને લાંબા ગાળા સુધી રહેતા જાતીય સંબંધો પર રચાયેલું જૂથ છે.”
ઓગબર્નના મત મુજબ, “કુટુંબ એ બાળકોવાળા કે બાળકો વગરના પતિ-પત્નીનું બનેલું લાંબા ગાળાનું જૂથ છે.”
કિંગ્સલે ડેવિસના મતે, “કુટુંબ એક એવું સામાજિક જૂથ છે, જેના સભ્યો પ્રજનન પ્રક્રિયા દ્વારા એકબીજા સાથે જોડાયેલા છે.”
કુટુંબ જૂથ લગ્ન, લોહી અથવા દત્તકના સંબધો દ્વારા અસ્તિત્વમાં આવે છે.
કુટુંબના સભ્યોના અધિકારો અને ફરજો સમુદાયનાં સામાજિક ધોરણો દ્વારા નક્કી થયેલા હોય છે.
કુટુંબના સભ્યો વચ્ચે જેટલી શારીરિક અને માનસિક નિકટતા તથા લોહીના સંબંધો હોય છે, તેટલી નિકટતા અને તેવા સંબંધો બીજા કોઈ પણ જૂથમાં જોવા મળતા નથી.
કુટુંબના પ્રકાર :
કુટુંબના જુદા જુદા પ્રકારો, વંધ, સત્તા, સ્થાન અને સહનિવાસના આધારે નીચે પ્રમાણે દર્શાવેલ છે :
1. માતૃવંશી કુટુંબ :
માતૃવંશી કુટુંબમાં વંશગણના માતાથી થાય છે. બાળકિનાં નામ પાછળ માતાનું નામ હોય છે. સત્તા અને મિલકતનો વારસો માતા તરફથી મહિલા-બાળકોને મળે છે. બધા જ પ્રકારના આર્થિક વ્યવહારો અને ધાર્મિક વિવિધતાનો મહિલા દ્વારા થાય છે.
2 પિતૃવંશી કુટુંબ :
પિતૃવંશી કુટુંબમાં વંશગણના પિતાથી થાય છે. બાળકોનાં નામ પાછળ પિતાનું નામ હોય છે. સત્તા અને મિલકતનો વારસો પિતા તરફથી પુરુષ-બાળકને મળ છે. બધા જ પ્રકારના આર્થિક વ્યવહારો અને ધાર્મિક વિધિવિધાનો પુરુષ દ્વારા થાય છે.
3 માતૃસત્તાક કુટુંબ :
માતૃસત્તાક કુટુંબમાં માતા સર્વોપરી સત્તા ભોગવે છે. કુટુંબમાં મહિલાઓ ઉચ્ચ સ્થાને હોય છે. માતાને કુટુંબનું મૂળ ગણવામાં આવે છે. સમાજજીવનના આર્થિક, ધાર્મિક, રાજકીય અને સામાજિક ક્ષેત્રે મહિલાઓનું પ્રભુત્વ હોય છે. માતૃસત્તાક કુટુંબ મોટા ભાગે માતૃવંશી અને માતૃસ્થાની હોય છે. કુટુંબમાં વંશગણના માતાથી થાય છે. બાળકોનાં નામ પાછળ માતાનું નામ હોય છે. સત્તા અને મિલકતનો વારસો માતા તરફથી મહિલા-બાળકને મળે છે. સત્તા અને મિલકતમાં પુરુષ-બાળકોને અધિકાર મળતો નથી. લગ્ન પછી યુવતી માતાના ઘરે રહે છે, જ્યારે પતિ લગ્ન પછી પત્નીના ઘરે રહે છે.
માતૃસત્તાક કુટુંબમાં મહિલાઓને પ્રમાણમાં વિશેષ સ્વતંત્રતા અને અધિકારો પ્રાપ્ત થાય છે. પોતાના જીવનને લગતા નિર્ણયો લેવામાં મહિલાઓ સ્વતંત્રતા ભોગવે છે. આ પ્રકારના કુટુંબમાં મહિલાઓનો દરજ્જો પિતૃસત્તાક કુટુંબની સરખામણીમાં ઊંચો હોય છે.
4 પિતૃસત્તાક કુટુંબ :
પિતૃસત્તાક કુટુંબમાં પુરુષની સત્તા, સ્થાન અને દરજ્જો ઊંચો હોય છે. પિતાને કુટુંબનું મૂળ ગણવામાં આવે છે. સમાજજીવનના આર્થિક, ધાર્મિક, રાજકીય અને સમાજિક ક્ષેત્રે પુરુષોનું પ્રભુત્વ હોય છે. પિતૃસત્તાક કુટુંબ મોટા ભાગે પિતૃવંશી અને પિતૃસ્થાની હોય છે. કુટુંબમાં વંશગણના પિતાથી થાય છે. બાળકોનાં નામ પાછળ પિતાનું નામ હોય છે. કુટુંબમાં પુત્રનું મહત્વ વિશેષ હોય છે અને પુત્ર જન્મને અનિવાર્ય માનવામાં આવે છે. પુત્ર ન હોય તેવા સંજોગોમાં નજીકના સગાસંબંધીમાંથી પુરુષ-સંતાનને દત્તક લેવામાં આવે છે. લગ્ન પછી પત્ની પતિના ઘરે રહે છે.
પિતૃસત્તાક કુટુંબમાં સમાજજીવનના તમામ ક્ષેત્રે પુરુષો વિશેષાધિકાર ભોગવે છે. પરિણામે મહિલાઓને અન્યાય અને શોષણના ભોગ બનવું પડે છે.
5. માતૃસ્થાનીય કુટુંબ :
માતૃસ્થાનીય કુટુંબમાં મહિલા-બાળક માતાનું વારસદાર ગણાય છે અને લગ્ન પછી માતાની સાથે માતાના કુટુંબમાં રહે છે. લગ્ન બાદ પતિને પત્નીની કુટુંબમાં આવીને રેહેવું પડે છે. સમાજજીવનનના તમામ નિર્ણયોમાં મહિલાનું પ્રાધાન્ય હોય છે.
6 પિતૃસ્થાનીય કુટુંબ :
પિતૃસ્થાનીય કુટુંબમાં પુરુષ-બાળક પિતાનું વારસદાર ગણાય છે અને લગ્ન પછી માતાની સાથે માતાના કુટુંબમાં રહે છે. લગ્ન બાદ પતિને પત્નીના કુટુંબમાં આવીને રહેવું પડે છે. સમાજજીવનના તમામ નિર્ણયોમાં મહિલાઓનું પ્રાધાન્ય હોય છે.
7 સંયુક્ત કુટુંબ :
સંયુક્ત કુટુંબ કદની દ્વષ્ટિએ વિશાળ હોય છે. તેમાં બે કે તેથી વધુ પેઢીના સભ્યો એકસાથે વસવાટ કરે છે અને એક જ રસોડે ભોજન લે છે. તેઓ એકબીજા સાથે રક્ત, લગ્ન કે સગપણ સંબંધથી જોડાયેલા હોય છે. કુટુંબની તમામ મિલકતમાં કુટુંબના દરેક સભ્યોનો સમાન હક હોય છે. કુટુંબનો વહીવટ અને સંચાલન પિતા અથવા સૌથી મોટા પુરુષ કરે છે. સંયુક્ત કુટુંબમાં કુટુંબના વડાની સત્તાનો અને તેમણે લીધેલા નિર્ણયોનો સ્વીકાર કુટુંબના અન્ય સભ્યોએ કરવો પડે છે. કુટુંબના વડા સત્તા અને સર્વસ્વ ધરાવતા હોય છે. સંયુક્ત કુટુંબમાં વૃદ્વ, વિધવા, અપંગ, અશક્ત વગેરે સભ્યોને સલામતી અને આશ્રય મળે છે.
8 વિભક્ત કુટુંબ :
વિભક્ત કુટુંબ કદની દ્વષ્ટિએ નાનું હોય છે. તેમાં પતિ-પત્ની અને તેમનાં અપરિણીત સંતાનોનો સમાવેશ થાય છે. આ કુટુંબમાં સત્તા, વહીવટ અને સંચાલન મુખ્ય જવાબદાર વ્યક્તિ પાસે હોય છે. કુટુંબજીવનના તમામ નિર્ણયો મોટા ભાગે સર્વસંમતિથી લેવામાં આવે છે. સભ્યસંખ્યા મર્યાદિત હોવાથી વ્યક્તિગત નિર્ણયને મહત્વ આપાય છે. આથી પરિવારમાં વિરોધ જોવા મળતો નથી. વિભક્ત કુટુંબમાં મહિલાઓ અને બાળકોને સ્વતંત્રતા મળતી હોવાથીએ વ્યક્તિગત પ્રગતિ અને વિકાસને વધુ તક મળે છે.