CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
માનવી વિચારશીલ પ્રાણી છે. વિદ્ધાનોના મત મુજબ અમૂર્ત વિચારણા સમસ્યા ઉકેલ તેમજ ભાષાની શક્તિને લીધે જ માનવી બીજાં પ્રાણીઓ કરતાંં જુદો પડે છે.
વિચારણાનો અર્થ : વિચારણા એ શક્તિ નથી, પરંતુ એક માનસિક પ્રક્રિયા છે. વિચારણા આપણા વર્તનનો આરંભ કરે છે, વર્તનને ચોક્કસ દિશા આપે છે અને કેટલીક વાર વર્તનમાં ધરમૂળથી ફેરફાર સર્જે છે. આમ, વિચારણા વર્તનને પ્રભાવિત કરે છે.
વિચારણા કોઈ નક્કર પદાર્થ નથી, પરંતુ એક અમૂર્ત ક્રિયા છે. એચ. ઈ. ગેરેટના મત અનુસાર ‘વિચારણા એક આદ્ર્શ્ય અને આંતરિક વર્તન છે.’ આપણી સભાન અવસ્થામાં મોટા ભાગના કલાકો દરમિયાન આપણે કોઈ ને કોઈ વિષય પર વિચારયા હોઈએ છીએ. એટલું જ નહિ, પરંતુ આપણે નિદ્રા દરમિયાન સ્વપ્નમાં રાચતા હોઈએ ત્યારે પણ વિચારતા જોઈએ છીએ.
વિચારણાની વ્યાખ્યા : જુદા જુદા મનોવૈજ્ઞાનિકોએ વિચારણાની જુદી જુદી વ્યાખ્યાઓ આપી છે.
1. વૉરેન : ‘વિચારણા એક પ્રતિકાત્મક સ્વરૂપની વિચારાત્મક પ્રક્રિયા છે. જેનો પ્રારંભ વ્યક્તિની સામે ઉપસ્થિત કોઈ સમસ્યાથી થાય છે. જેમાં પ્રયત્ન અને ભૂલની ક્રિયા પણ જોવા મળે છે. અને છેલ્લે સમસ્યાનો ઉકેલ કે નિષ્કર્ષ પ્રાપ્ત થાય છે.’
2. સિલ્વરમૅન : ‘વિચારણા એક એવી માનસિક પ્રક્રિયા છે, જે ઉદ્દીપક તથા ઘટાનાઓના પ્રતિકાત્મક નિરૂપણ દ્વારા સમસ્યાનો ઉકેલ શોધવામાં આપણને મદદ કરે છે.’
3. સિકારેલી અને મેયર : ‘વ્યક્તિ જ્યારે કોઈ માહિતીનું પ્રક્રિયાકરણ કરતો હોય, તેને સંગઠિત કરતો હોય, સમજતો હોય અને બાજાઓ તરફ તે માહિતીનું પ્રત્યાયન કરતો હોય ત્યારે કહેવાય કે તેના મગજમાં કોઈ વિચાર ચાલી રહ્યા છે.’
4. વુડવર્થ અને સ્લોસબર્ગ : જ્યારે કોઈ માનવી અત્યારની દેખીતી પરિસ્થિતિથી આગળ જઈને શોધખોળ કરે, તેમજ પહેલાં રચેલી વિભાવનાઓ અને સ્મૃતિઓનો ઉપયોગ કરે ત્યારે તે વિચારણા કરે છે તેમ કહેવાય.’
5. ડેવિસ : ‘વિચારણા એટલે માનવવર્તનમાંથી અનુમાન કરીને મેળવેલી માહિતિનું માનસિક પ્રતિમાઓ અને વિભાવનાઓના રૂપમાં હસ્તોપયોજન કરવાની માનસિક ક્રિયા,’
6. હિલગાર્ડ અને એટકિન્સન : ‘વિચારણા એવી બોધાત્મક પ્રક્રિયા છે, જેમાં વસ્તુઓ અને ઘટનાઓનું નિરૂપણ કરતાં પ્રતીકોનો ઉપયોગ થાય છે.’
7. સી.ટી.મોર્ગન : ‘વિચારવું એટલે લાંબા ગાળાની સ્મૃતિમાં સંગૃહિત પ્રતીકો અને પર્યાવરણમાંની માહિતી એ બંનેની બોધાત્મક પુનઃગોઠવણી.’
8. રૉબર્ટ કકૂસ અને સ્ટીએન : ‘વિચારણા એટલે સમસ્યા ઉકેલ તરફ દોરાયેલી આંતરિક પ્રક્રિયાઓનો સમૂહ.’
ઉપરની વ્યાખ્યાઓ પરથી જણાશે કે વિચારણા મોટે ભાગે સંગઠિત અને લક્ષ્ય નિર્દેશિત હોય છે.
વિચારણા એક આંતરિક માનસિક પ્રક્રિયા છે, જેનું અનુમાન બાહ્ય કે પ્રગટ વર્તન દ્વારા કરી શકાય છે.
ઉપર્યુક્ત વ્યાખ્યાઓના આધારે વિચારણાનાં લક્ષણો નીચે મુજબ છે.
વિચારણાના લક્ષણો :
1. વિચારણાની શરૂઆત કોઈને કોઈ સમસ્યાથી થાય છે : આપણી સમક્ષ કોઈ સમસ્યા આવે ત્યારે તે સમસ્યાના ઉકેલ માટે વિચારણા કરવાનું શરૂ કરીએ છીએ.
2. વિચારણા એ પ્રતિકાત્મક સ્વરૂપની વિચારાત્મક પ્રક્રિયા છે : વિચારણામાં વિચારોની હારમાળા રચાય છે. એક પછી એક ક્રમશઃ વિચારો આવે છે. વસ્તુઓની સંકલ્પના, માનસિક પ્રતિમા કે પ્રતીકો દ્વારા વિચારણા થાય છે.
3. વિચારણામાં પ્રયત્ન અને ભૂલથી પ્રક્રિયા જોવ મળે છે : કોઈ પણ સમસ્યાના ઉકેલ માટે વ્યક્તિ વિચારણાની માનસિક કસરત કરે છે. તે અનેક વિકલ્પો કે અનુમાનો વિશે વિચારે છે. જે ‘પ્રયત્ન’ કહેવાય. આ પ્રયત્નમાં ‘ભૂલ’ થાય છે. પ્રયત્ન અને ભૂલની પ્રક્રિયા શારીરિક અને માનસિક એમ બે પ્રકારની જોવા મળે છે.
વિચારણા અંગત અને ખાનગી હોવાથી વિચારો પ્રત્યક્ષ જોઈ શકાતા નથી પરંતુ વ્યક્તિના ચહેરાના હાવભાવ, શરીરની સ્થિતિ, હાથપગનાં હલનચલનો, વ્યક્તિએ ઉચ્ચારેલા અસ્પષ્ટ શબ્દો વગેરે વ્યક્તિની શારીરિક કે પ્રગટ ‘પ્રયત્ન અને ભૂલની પ્રક્રિયા’ કહેવાય.
સમસ્યા ઉકેલની વિચારણા દરમિયાન વ્યક્તિના મનમાં અનેક બાબતો ‘પ્રતીક’ રૂપે આવે છે. જેમાંથી અયોગ્ય બાબતોને તે પડતી મૂકે છે. આમ, વિવિધ ઉકેલોની મદદથી સમસ્યા ઉકેલવાનો પ્રયત્ન કરે છે. જેને ‘માનસિક પ્રયત્નની ભૂલની પ્રક્રિયા’ કહેવામાં આવે છે.
4. વિચારના મોટા ભાગે સંગઠિત અને લક્ષ્ય નિર્દેશિત હોય છે : મોટા ભાગે સ્વસ્થ વ્યક્તિની વિચારના લક્ષ્ય કે ધ્યેય કેન્દ્રિત હોય છે. વ્યક્તિ જો કોઈ સમસ્યાથી પરિચિત હોય, તો અગાઉ જે રીતે સમસ્યા ઉકેલી હતી તે રીતે યોજના બનાવે છે અને સમસ્યા અપરિચિત હોય, તો તેને ઉકેલવા વિવિધ પ્રયુક્તિઓનું અનુમાન કરી યોજના બનાવે છે.
5. વિચારણા એ શોધખોળની માનસિક પ્રક્રિયા છે : વિચારણામાં વ્યક્તિ કાર્ય કરવાના બદલે શબ્દો, પ્રતિમાઓ, પ્રતીકો વગેરે દ્વારા સમસ્યાના ઉકેલ માટેના વિવિધ પ્રયત્નો કરે છે. આમ, વિચારણા એ શોધખોળની માનસિક પ્રક્રિયા છે.