CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
સમસ્યા ઉકેલવા માટે વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કરવામાંં આવે છે. સમસ્યા ઉકેલવા માટે વ્યક્તિ કઈ પદ્ધતિનો ઉપયોગ કરશે તેનો આધાર સમસ્યાના સ્વરૂપ, સમસ્યાની સમજ, પૂર્વાનુભવ, બુદ્ધિ, સર્જકતા, સંકલ્પ, પ્રેરણા, સમય, સુવિધાઓ અને શારીરિક સ્થિતિ પર છે.
સમાજમાં વ્યક્તિએ મુખ્ય બે પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે : 1. ગાણિતિક સમસ્યા અને 2. વ્યાવહારિક સમસ્યા.
વ્યક્તિના જીવનમાં વ્યાવહારિક સમસ્યાઓ વધુ અને ગાણિતિક સમસ્યાઓ ઓછી હોય છે. કોઈક સમસ્યા બંનેનું મિશ્રણ હોય છે. સમસ્યા ઉકેલમાં વપરાતી મુખ્ય પદ્ધતિઓની સમજૂતી નીચે મુજબ છે.
1. અલગોરિધમ (Algorithm) પદ્ધતિ : પદ્ધતિસર, યોજના બદ્ધ, નિયમો અનુસાર અથવા ગણિત કે વિજ્ઞાનનાં સુત્રોનો ઉપયોગ કરીને સમસ્યાનો ઉકેલ મેળવવાની પદ્ધતિને ‘અલગોરિધમ’ કહેવાય છે. સમસ્યા-ઉકેલની આ પદ્ધતિમાં સમસ્યાના પ્રત્યેક સંભવિત ઉકેલનું યોજના બદ્ધ અન્વેષણ કરવામાં આવે છે. જ્યાં સુધી સાચો ઉકેલ ન મળે ત્યાં સુધી આ પ્રક્રિયા ચાલુ રહે છે. આ પદ્ધતિ દ્વારા સમસ્યાનો ઉકેલ તરત કે થોડા સમય બાદ મળે છે. તેમાં સાચા ઉકેલની ખાતરી હોય છે.
2. હ્યુરિસ્ટિક (Heuristics) પદ્ધતિ : વ્યક્તિ સમસ્યા ઉકેલવા માટે તેના પૂર્વજ્ઞાનનો અથવા અગાઉ સફળતાઓ મળી હોય તેવી અનૌપચરિક રીતોનો ઉપયોગ કરીને સમસ્યા ઉકેલે ત્યારે તે પદ્ધતિને ‘હ્યુરિટિક્સ’ કહેવાય છે. સમસ્યા ઉકેલની આ પદ્ધતિ સમસ્યા ઉકેલવામાં સફળ નીવડે અથવા સફળ ન પણ નિવડે. રોજિંદા જીવનમાં સમસ્યા ઉકેલવા માટે સામાન્ય રીતે વપરાતી આ ઝડપી પદ્ધતિ છે. આ પદ્ધતિ ભૂતકાળમાં સફળ નીવડેલા ઉપાયો વિશેના પૂર્વાનુભવો અને સ્મૃતિમાંં સંગૃહિત જ્ઞાન ઉપર આધારિત છે. આ પદ્ધતિ સમસ્યાના ઉકેલ તરફ ઝડપથી લઈ જાય છે, પરંતુ સફળતાની ખાતરી આપતી નથી. દા.ત. રેડિયાનો અવાજ બંધ થઈ જાય ત્યારે વ્યક્તિ તેને હાથ વડે ઠપકારે છે. કોઈક વાર ચાલુ થાય અથવા ન પણ થાય.
3. સમસ્યા અવકાશ (Problem Space) : વ્યક્તિના જીવનમાં જ્યારે કોઈ પણ સમસ્યા આવે ત્યારે વ્યક્તિ પોતાનામાં મનમાં તે સમસ્યાને લગતું એક પ્રત્યક્ષ પ્રતિનિધિરૂપ દ્રષ્ય રચે છે અને તે દ્વારા વાસ્તવિક સમસ્યાને ઉકેલવા યોગ્ય રીતોનો વિચાર કરે છે. આ રીતો, યુક્તિ કે વ્યુહરચનાઓને ‘સમસ્યા અવકાશ’ કહેવાય છે. વ્યક્તિ આ પદ્ધતિ દ્વારા સમસ્યા ઉકેલનો એવો શ્રેષ્ઠતમ માર્ગ શોધે છે કે તે માર્ગે ચાલીને તે સમસ્યા ઉકેલ સુધી ઓછા સમય અને ઓછી મહેનતમાં પહોંચી જાય છે.
4. પ્રયત્ન અને ભૂલ (Trial and Error) ની પદ્ધતિ : આ પદ્ધતિમાં વ્યક્તિ સમસ્યાના સ્વરૂપ અને ઉકેલની દિશા વિશે અજાણ હોય છે. આથી તે સમસ્યા ઉકેલવા માટે લાંબા સમય સુધી અવ્યવસ્થિત, આડેધડ પ્રયત્નો કરતો રહે છે. ધ્યાન અને સમજનો અભાવ હોવાથી તે ભૂલોનું પુનરાવર્તન પણ કરે છે. આથી તેને સમસ્યાનો ઉકેલ મળતો નથી અથવા લાંબા સમય પછી મળે છે. ભુલભુલામણીના પ્રયોગમાં આ પદ્ધતિનો ઉપયોગ થાય છે.
5. સ્મૃતિ અને માનસિક તત્પરતા (Mental Set) : વ્યક્તિએ ભૂતકાળમાં હાલના જેવી જ કોઈ સમસ્યા જે પદ્ધતિથી ઉકેલી હોય તે પદ્ધતિને યાદ કરે છે અને હાલની સમસ્યા ઉકેલવા માટે પણ તે જ પદ્ધતિનનો ઉપયોગ કરે છે. આ સમસ્યા બીજી કોઈ પદ્ધતિથી પણ ઉકેલી શકાય છે તેવો ખ્યાલ જ તેને આવતો નથી. વસ્તુઓના ઉપયોગ અંગે અમુક માન્યતાઓ એટલી બધી દ્રઢ અને સ્થિતિચુસ્ત રીતે બંધાઈ હોય છે કે તે નવી પદ્ધતિથી વિચારવામાં અવરોધક બને છે. વસ્તુઓના વૈકલ્પિક અને રચનાત્મક ઉપયોગો વિશે વિચારો સૂજતા નથી. કેટલીક વાર પૂર્વપ્રચલિત ધાર્મિક જડ ખ્યાલો રૂઢિચુસ્તતા પેદા કરી સમસ્યા ઉકેલ મુશ્કેલ બનાવે છે. આને ‘કાર્યાત્મક સ્થિરતા’ કે ‘કર્યાત્મક ચુસ્તતા’ કહેવાય છે.