CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
પર્યાવરણના મુખ્ય ચાર ઘટકો છે જે નીચે પ્રમાણે છે :
1 વાતાવરણ :
પૃથ્વીની સપાટીથી આશરે 800 થી 1000 કિમી સુધી વિસ્તરેલાં વાયુમય આવરણને ‘વાતાવરણ’ કહેવામાં આવે છે. વાતાવરણ પૃથ્વીની સપાટી પર સુરક્ષા કવચ બનાવે છે. વાતાવરણમાં હવા અને તેના ઘટકો, સૂર્યપ્રકાશ, તાપમાન અને ભેજનો સમાવેશ થાય છે. વાતાવરણથી પૃથ્વી પરની જીવસૃષ્ટિ જીવંત રહે છે. વાતાવરણમાં નાઇટ્રોજન, ઑક્સિજન, કાર્બન ડાયૉક્સાઇડ, નીઓન, હિલિયમ, ઓઝોન વગેરે અનેક વાયુઓ તેમજ પાણીની વરાળ હોય છે. વાતાવરણ સૂર્યનાં અત્યંત જલદ પારજાંબલી કિરણોનું શોષણ કરી પૃથ્વીનું સૂર્યની પ્રચંડ ગરમીથી રક્ષણ કરે છે. સૂર્યનાં કિરણો દ્વારા વાતાવરણ એકસમાન ગરમ થતું નથી. આથી વાયુનો પ્રવાહ વહે છે અને પૃથ્વીના જુદા જુદા ભાગોમાં આબોહવા, ઉષ્ણતામાન અને વરસાદની માત્રામાં ફેરફાર થાય છે. વાતાવરણ જટિલ અને ગતિશીલ ઘટકોનું બનેલું છે. આથી જો તેમાં ભંગાણ થાય, તો સમગ્ર જીવસૃષ્ટિને તેની અસર થાય છે.
2 મૃદાવરણ (ભૂમિ આવરણ) :
મૃદાવરણમાં પર્વતો, ઉચ્ચપ્રદેશો, સપાટ મેદાનો, ખીણો અને કોતરો જેવા અનેક ભૂમિઆકારોનો સમાવેશ થાય છે. મૃદાવરણ માનવી, વનસ્પતિ, પ્રાણીઓ તેમજ સૂક્ષ્મ જીવજંતુઓને જરૂરી પોષક તત્વો પૂરાં પાડે છે. નદી, હિમનદી, પવન, સૂર્યપ્રકાશ, વરસાદ, હિમ, તાપમાન વગેરે જેવાં બાહ્ય કુદરતી બળો દ્વારા મૃદાવરણમાં સતત પરિવર્તન થતું રહે છે. મૃદાવરણમાં મુખ્ય બે ઘટકો છે. કાર્બનિક અને અકાર્બનિક. ખડકોના ભંગાણથી માટી બને છે અને તેના પર માનવી ખેતી કરે છે. ખેતીની જમીનમાં 95 ટકા અકાર્બનિક અને 5 ટકા કાર્બનિક દ્વવ્યો હોય છે. મૃદાવરણમાં રહેલા જીવાણુઓ કાર્બનિક દ્વવ્યો છે અને રાસાયણિક તત્વો અકાર્બનિક દ્વવ્યો છે. મૃદાવરણના ઉપરના સ્તરને ‘હ્યુમસ’ કહે છે. ભૌગોલિક પરિસ્થિતિ અનુસાર મૃદાવરણમાં વાયુ અને જળ હોય છે.
3 જલાવરણ :
પૃથ્વીની સપાટી પરના પાણીના આવરણને ‘જલાવરણ’ કહે છે. તે પૃથ્વીની સપાટીનો આશરે 71 ટકા ભાગ રોકે છે. જલાવરણમાં સાગર, ઉપસાગર, મહાસાગર, નદી, સરોવર, તળાવ, ઝરણાં, ભૂગર્ભજળ વગેરેનો સમાવેશ થાય છે. પ્રાચીન માનવસંસ્કૃતિઓનો વિકાસ નદીઓ અને જળાશયોને આભારી હતો. આમ, માનવસમાજ અને તેની સંસ્કૃતિના વિકાસ માટે જળ અગત્યનું પરિબળ છે. જલાવરણનો 97 ટકા જળહિસ્સો સાગરમાં, 2 ટકા બરફ સ્વરૂપે છે, જે માનવીના ઉપયોગમાં આવતો નથી. માત્ર 1 ટકો નદી, સરોવર અને ભૂગર્ભજળમાં રહેલો છે. જેના પર જીવનસૃષ્ટિ ટકે છે. આથી સાગરના પાણીને શુદ્વ કરવાના સઘન પ્રયત્નો થાય છે, જીથી જીવસૃષ્ટિ ટકી રહે.
4 જૈવિક આવરણ :
પૃથ્વીના અન્ય આવરણની સરખામણીમાં જૈવિક આવરણનું પડ પાતળું છે. આ પર્યાવરણનું જીવંત આવરણ હોવાથી તેમાં પ્રાકૃતિક રીતે જીવન શક્ય છે. કારણ કે તેમાં હવા, પાણી, ખડકો, માટી અને સજીવ પ્રાણીઓ છે. સમુદ્વના સૌથી નીચા તળિયાથી વાતાવરણના સૌથી ઊંચા બિંદુ સુધી આશરે 24 કિમીનું આ જૈવિક આવરણ છે. જૈવિક આવરણ એક ગતિશીલ અને મોટું નિવસનતંત્ર છે. જેમાં બીજાં અનેક નાનાં દેશ, રાજ્ય, જિલ્લા, ખીણ, પર્વતમાળા, નદી, સરોવર વગેરે જેવાં નિવસનતંત્રો છે. આ નાનાં નિવસનતંત્રો સહેલાઇથી દેખાય છે અને ઓળખાય તેવાં હોય છે. આમ, જૈવિક આવરણ કોઈ પણ ભુદ્વશ્ય કે જલદ્વશ્યને તેના સ્તર મુજબ આગવી લાક્ષણિકતા આપે છે.
પર્યાવરણના ચારેય ઘટકોનું સંયુક્ત સ્વરૂપ સમગ્ર પર્યાવરણ રચે છે. અગ્નિ, જળ, વાયુ, જમીન અને આકાશ - આ પંચમહાભૂતોનું પર્યાવરણ બનેલું છે. આ પાંચેય તત્વોનું સંચાલન વ્યવસ્થિત રીતે થાય છે. આથી જ સમગ્ર પર્યાવરણના ઘટકોમાં કુદરતે પરસ્પર સમતુલા સ્થાપી છે.