CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
સમાજની રચના માટે માનવસંબંધો અતિ આવશ્યક છે. આ સંબંધો જન્મથી શરૂ થાય છે અને મૃત્યુપર્યંત ચાલુ રહે છે. આ સંબંધોની વિકસતી પ્રક્રિયાને ‘સામાજિકીકરણ’ કહેવામાં આવે છે.
સામાજિકીકરણનો અર્થ :
સામાજિકીકરણ વ્યક્તિના સમગ્ર જીવનકાળ સુધી ચાલતી એક પ્રક્રિયા છે.
માનવીની આંતરક્રિયાઓમાંથી નીપજતી અને સામાજિક રચનાતંત્રને ટકાવી રાખતી તેમજ સંસ્કૃતિનું પેઢી દર પેઢી સંવહન કરતી સામાજિકીકરણની પ્રક્રિયા સમાજશાસ્ત્રના ક્ષેત્રનો મહત્વનો વિષય છે.
જૈવિક વ્યક્તિને સામાજિક વ્યક્તિ બનાવતી પ્રક્રિયાને ‘સામાજિકીકરણ’ તરીકે ઓળખવામાં આવે છે. સામાજિકીકરણના પરિણામે વ્યક્તિ સમાજના એક સભ્ય તરીકે સામાજિક અપેક્ષાઓ મુજબ જીવન જીવતાં શીખે છે.
સામાજિકીકરણ બાળકને સમાજનાં ધોરણો, મૂલ્યો, લાગણીઓ, ભૂમિકાઓ અને વર્તનપદ્વતિ શીખવતી એક અનૌપચારિક પદ્વતિ છે.
સામાજિકીકરણ થતાં બાળક પોતાના સમાજના સાંસ્કૃતિક માળખામાં ગોઠવાય છે, સામાજિક અપેક્ષાઓ સંતોષવા તે સમર્થ બને છે.
આમ, સામાજિકીકરણ બાળકના સામાજિક અને સાંસ્કૃતિક જીવનનું ઘડતર કરતી પ્રક્રિયા છે.
સામાજિકીકરણ ‘સ્વ’ અને ‘વ્યક્તિત્વ’ના વિકાસની પ્રક્રિયા છે. ‘સ્વ’ ને લીધે જ વ્યક્તિત્વ આકાર લે છે અને વ્યક્તિનું ‘મન’ ક્રિયાશીલ બને છે.
“સામાજિકીકરણ એક એવી આંતરક્રિયાની પ્રક્રિયા છે, જેના દ્વારા વ્યક્તિ ટેવો, કૌશલ્યો, માન્યતાઓ, તથા વિવેકબુદ્વિ શીખે છે, જે સામાજિક સમૂહો તથા સંપ્રદાયોમાં અસરકારક ભાગ લેવા માટે આવશ્યક ગણવામાં આવે છે.”
સામાજિકીકરણની આ પ્રક્રિયામાં સમાજ તેના સભ્યોના સામાજિકીકરણ માટે એક એજન્સી તરીકે કામ કરે છે. સામાજિકીકરણ વગર સંસ્કૃતિ અસ્તિત્વ ધરાવી શકે નહીં.
સામાજીકરણની વ્યાખ્યા :
કિંગ્લ્સે ડેવિસ : “નવા જન્મેલા બાળકનું સામાજિક વ્યક્તિ તરીકે ઘડતર કરવાની પ્રકિયાને સામાજિકીકરણ કહેવાય.”
હોર્ટન અને હન્ટ : “સામાજિકીકરણ એક એવી આંતરક્રિયાની પ્રક્રિયા છે, જેના દ્વારા વ્યક્તિ પોતાના સમૂહનાં ધોરણો પોતાના જીવનમાં ઉતારે છે, જેના પરિણામે એક વિશિષ્ટ ‘સ્વ’ જન્મે છે.”
સામાજિકીકરણના વાહકો :
વ્યક્તિના જન્મથી શરૂ કરી તેના મૃત્યુ સુધી અનેક વાહકો તેનું સામાજિકીકરણ કરે છે. તેમાં કુટુંબ, મિત્રજુથ, શાળા અને સમૂહ માધ્યમો અગત્યનો ભાગ ભજવે છે.
સામાજિકીકરણની મહત્વની એજન્સી તરીકે ‘કુટુંબ’ની ભૂમિકા નીચે પ્રમાણે છે :
કુટુંબ :
કુટુંબ એ સામાજિકીકરણનું પાયાનું અને અગત્યનું માધ્યમ છે.
બાળક સૌપ્રથમ કુટુંબના જ સંપર્કમાં આવે છે. માતા-પિતા અને ભાઇ-બહેનના લોહીના સંબંધો દ્વારા બાળક એક જૈવિક વ્યક્તિમાંથી સામાજિક વ્યક્તિ બને છે.
જગતની મોટા ભાગની સંસ્કૃતિઓમાં કુટુંબમાં માતાની ભૂમિકા સામાજિકીએકરણની પ્રક્રિયામાં મહત્વનો ભાગ ભજવે છે. માતા અને બાળક વચ્ચેના સંબંધોની નિકટતા અને ભાવાત્મક એકતા બાળકના વ્યક્તિત્વનું ઘડતર અને સંસ્કૃતિનું પ્રદાન કરવામાં ખૂબ જ અગત્યની છે.
માતા-પિતાનો પ્રેમ, વાત્સલ્ય, હુંફ વગેરે બાળકના મનમાં સામાજિક તથા માનસિક સલામતીની ભાવના ઉત્પન્ન કરે છે, જે વ્યક્તિત્વના વિકાસમાં અગત્યની છે.
કુટુંબ બાળકને તેના વર્તન માટે માર્ગદર્શન, દોરવણી તેમજ નિશ્વિત અને સ્પષ્ટ ધોરણો પુરાં પાડે છે અને તે ધોરણોનો સમજાવટ કે દબાણથી અમલ કરાવે છે.
બાળકને પોતાનાં ભાઇ-બહેનો સાથેના સમાનતાના સંબંધો પણ એને કુટુંબમાંથી જ મળી રહે છે.
કુટુંબ બાળકને સમાજનાં પાયાનાં મુલ્યો, ધોરણો અને વર્તન-વ્યવહારની રીતો શીખવે છે. મોટા થઈને જે સામાજિક ભૂમિકાઓ તેને ભજવવાની છે તે માટે કુટુંબ બાળકને તૈયાર કરે છે. આ માટે તે જરૂરી ટેવો, કૌશલ્યો, જ્ઞાન તથા આવડતો તેનામાં કેળવે છે. ખાતાંપીતાં, બોલતાંચાલતાં, પ્રાથમિક સફાઇ કરતાં કુટુંબ જ તેને શીખવે છે.
કુટુંબ તેને સમાજના લોકાચાર, પરંપરા, રૂઢિ, રિવાજ વગેરેનું જ્ઞાન આપે છે.
આમ, કુટુંબ બાળકને સાંસ્કૃતિક વારસાની સૌથી આવશ્યક અને મહત્વની બધી જ બાબતો સામાજિકીકરણ દ્વારા શીખવે છે.
આધુનિક સમયમાં ઘરની બહાર કામ કરવા જતી માતાની ભૂમિકામાં ભૂતકાળ કરતાં પરિવર્તન આવેલું જોવા મળે છે. કેટલાક કુટુંબોમાં માતા પોતે જ ઘરની મુખ્ય વ્યક્તિ હોય ત્યારે માતા પર બાળકના સર્વાંગી વિકાસની અનેકવિધ જવાબદારીઓ આવે છે.
કુટુંબની સંસ્કૃતિ અને આર્થિક સ્થિતિ સામાજિકીકરણની પ્રક્રિયામાં અસર કરે છે. દા. ત., રૂઢિચુસ્ત કુટુંબમાં ઉછરેલાં બાળકો અને ઉદારમતવાદી કુટુંબમાં ઉછરેલાં બાળકોમાં તફાવત જોવા મળે છે. આ જ પ્રમાણે ધનાઢ્ય કુટુંબમાં થયેલો અને ગરીબ કુટુંબમાં થયેલો બાળકો ઉછેર જુદાં તરી આવે છે.
મિત્રજૂથ :
સામાજિકીકરણની મહત્વની એજન્સી તરીકે ‘મિત્રજૂથ’ ની ભૂમિકા :
બાળક મોટું થતાં ઉંમર, અનુભવ અને સામાજિક મોભામાં સમાન એવા સમોવડિયા મિત્રો સાથે આંતરક્રિયામાં જોડાય છે. કુટુંબની સાથે સાથે આવું મિત્રજૂથ પણ બાળકનું સામાજિકીકરણ કરે છે.
આ મિત્રજૂથ નિકતવર્તી હોઈ બાળકના તેના મિત્રો સાથેના સંબંધો ગાઢ, વૈયક્તિક અને સહાનુભૂતિભર્યા હોય છે. આ સંબંધોમાંથી બાળક વાતચીત, શિસ્ત, નિયમો, વર્તન વગેરે શીખે છે.
બાળકના સમવયસ્ક મિત્રો સાથેના સંબંધો સમાનતાના હોય છે. મિત્રજૂથમાં ‘અમે’ની ભાવના ગાઢ હોય છે. તેથી તેના સભ્યો પાસેથી અનુરૂપતાની અપેક્ષા રાખે છે.
મિત્રજૂથના સભ્યો સામાન્ય રીતે ઘણી બાબતોમાં પોતાના જૂથનાં ધોરણોને અનુસરતા હોય છે.
મિત્રજૂથ બાળકને નિયમપાલન કરતાં શીખવે છે. આ વલણ તેને અન્ય ક્ષેત્રોમાં પણ સામાજિક નિયંત્રણ પાળતાં અને પળાવતાં શીખવે છે.
મિત્રજૂથના સભ્ય થવાથી બાળકોમાં પરસ્પર સહકારની ભાવના જન્મે છે. તેઓમાં એકબીજા માટે જતું કરવાની ખેલદિલી પણ વિકસે છે.