CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
સમાજશાસ્ત્રમાં માહિતી એકત્રિત કરવા માટે સર્વેક્ષણ પદ્વતિ ખૂબ જ પ્રચલિત છે. સામાજિક સંશોધક કરવામાં મોટા ભાગના સંશોધકો આ પદ્વતિનો વ્યાપક ઉપયોગ કરે છે. આ પદ્વતિનો ઉપયોગ સરકારી તેમજ બિનસરકારી ક્ષેત્રોમાં અનેક હેતુઓ માટે કરવામાં આવે છે.
સૌપ્રથમ જ્હૉન ડ્રોવરે ઈંગ્લૅન્ડ અને વેલ્સના કેદીઓનું સામાજિક સર્વેક્ષણ કર્યું હતું.
ઇ.સ. 1886માં ચાર્લ્સ વુલ્થે લંડનની આર્થિક સ્થિતિનું સર્વેક્ષણ કરી પુસ્તક તૈયાર કર્યું હતું.
પ્રજાનાં વલણો, વર્તનો, માન્યતાઓ, અભિપ્રાયો, અપેક્ષાઓ વગેરે જાણવાના હેતુ માટે આ પદ્વતિ ઉપયોગમાં લેવાય છે.
સર્વેક્ષણ પદ્વતિનો પ્રારંભ સૈદ્વાંતિક અથવા વ્યવહારલક્ષી સંશોધન પ્રશ્નથી થાય છે અને તે માપન તથા માહિતીના વિશ્લેષણથી પૂર્ણ થાય છે.
સર્વેક્ષણ પદ્વતિમાં માહિતીનું એકત્રીકરણ કરવા માટે બે પ્રયુક્તિઓનો ઉપયોગ થાય છે : (1) મુલાકાત પ્રયુક્તિ અને (2) પ્રશ્નાવલિ પ્રયુક્તિ.
મોટા ભાગના સંશોધન પ્રશ્નો માટે સમુદાય કે તેના ભાગમાંથી મુલાકાત કે પ્રશ્નાવલી પદ્વતિના ઉપયોગ દ્વારા માહિતી એકત્રિત કરવાની જરૂરિયાત ઊભી થાય છે. માહિતી એકત્રિત કરવાના આવા અભ્યાસોને ‘સર્વેક્ષણ’ કહે છે.
આમ, સમાજજીવનને લગતી માહિતી એકત્રિત કરી તેનું વર્ણન કરવાની લોકપ્રિય અને વૈજ્ઞાનિક પદ્વતિ એટલે ‘સર્વેક્ષણ પદ્વતિ’.
સંશોધક પોતાના વિષયને અનુલક્ષીને ઉત્તરદાતાઓ કે માહિતીદાતાઓની પસંદગી કરે છે. માહિતી પ્રાપ્ત કરવા માટે બે પ્રકારનાં સર્વેક્ષણ થાય છે : (1) સમષ્ટિ સર્વેક્ષણ અને (2) નિદર્શ સર્વેક્ષણ.
1 સમષ્ટિ સર્વેક્ષણ :
આ પ્રકારના સર્વેક્ષણમાં સંશોધક અભ્યાસ વિસ્તારના અને અભ્યાસ વિષયથી સંબંધિત તમામ વ્યક્તિઓને ઉત્તરદાતા તરીકે પસંદ કરી તેઓનું સર્વેક્ષણ કરે છે. આ પ્રકારના સર્વેક્ષણને ‘સમષ્ટિ સર્વેક્ષણ’ કહેવામાં આવે છે. દા. ત., આપણા દેશમાં દર 10 વર્ષે વસ્તીગણતરીમાં ભારતના તમામ નાગરિકો પાસેથી કુટુંબ અંગેની માહિતી એકત્રિત કરવામાં આવે છે. આ પ્રકારના સર્વેક્ષણને ‘સમષ્ટિ સર્વેક્ષણ’ કહેવાય.
2 નિદર્શ સર્વેક્ષણ :
આ પ્રકારના સર્વેક્ષણમાં સંશોધક અભ્યાસ વિષયથી સંબંધિત કુલ ઉત્તરદાતાઓમાંથી પ્રતિનિધિત્વ ધરાવતા નમૂનારૂપ ઉત્તરદાતાઓને પસંદ કરી તેઓનું સર્વેક્ષણ કરે છે. આ પ્રકારના સર્વેક્ષણને ‘નિદર્શ સર્વેક્ષણ’ કહે છે. દા. ત., ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓની વાચનટેવોનો અભ્યાસ કરવા માટે જુદી જુદી ઉચ્ચતર માધ્યમિક શાળાઓના 10 ટકા વિદ્યાર્થીઓને ઉત્તરદાતા તરીકે પસંદ કરીને સર્વેક્ષણ કરવામાં આવે છે. આ પ્રકારના સર્વેક્ષણને ‘નિર્દેશ સર્વેક્ષણ’ કહેવાય.
સર્વેક્ષણ પદ્વતિમાં સંશોધક ઉત્તરદાતાઓની રૂબરૂ મુલાકાત લઈને અથવા ઉત્તરદાતાઓને પ્રશ્નાવલિ મોકલીને માહિતી એકત્રિત કરે છે. આ માહિતી સંશોધક પોતે અથવા સંશોધકના મદદનીશ દ્વારા એકત્રિત કરવામાં આવે છે.