CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
વ્યક્તિ તપાસ પદ્વતિમાં સામાજિક સંશોધન સાથે જોડાયેલા એકમોની લાક્ષણિકતાઓનું પ્રતિનિધિત્વ કરનારા એક અથવા એકથી વધુ એકમોનો અભ્યાસ કરવામાં આવે છે.
આ પદ્વતિમાં સામાજિક એકમ તરીકે વ્યક્તિ, કુટુંબ, સંસ્થા, સમૂહ કે સમુદાય હોય છે.
સમાજશાસ્ત્રી હર્બર્ટ સ્પેન્સરે સમાજશાસ્ત્રમાં વ્યક્તિ તપાસ પદ્વતિનો સૌપ્રથમ વખત ઉપયોગ કર્યો હતો.
ઇતિહાસકારો વ્યક્તિ વિશેષની માહિતી મેળવવા, સમયગાળાનો અભ્યાસ કરવા, રાષ્ટ્રોના વર્ણનાત્મક અહેવાલો મેળવવા, મહાનુભાવોના જીવનવૃત્તાંતો તૈયાર કરવા કે ઐતિહાસિક ઘટનાઓનું વિવરણ કરવા આ પદ્વતિનો ઉપયોગ કરે છે.
સામાજિક સંશોધનમાં બે પ્રકારની માહિતી એકત્રિત કરવામાં આવે છે : (1) સંખ્યાત્મક માહિતી અને (2) ગુણાત્મક માહિતી.
વ્યક્તિ તપાસ પદ્વતિનો અર્થ :
વ્યક્તિ તપાસ પદ્વતિમાં માત્ર એક જ વ્યક્તિનો અભ્યાસ કરવામાં આવતો નથી, પરંતુ વ્યક્તિને એક સામાજિક એકમ તરીકે અભ્યાસ કરવામાં આવે છે.
સામાજિક એકમ તરીકે વ્યક્તિ, કુટુંબ, સમૂહ, સામાજિક સંસ્થા કે સમુદાય હોઈ શકે છે. કોઈ એકને સામાજિક એકમ તરીકે ગણી તેનો જુદા જુદા દ્વષ્ટિકોણથી વિસ્તૃત, ઊંડાણપૂર્વક અને ઝીણવટભર્યો અભ્યાસ કરવામાં આવે છે.
વ્યક્તિ તપાસ પદ્વતિમાં જેટનો ભાર વ્યક્તિ પર મૂકવામાં આવે છે તેટલો જ ભાર તેના સામાજિક વાતાવરણ પર પણ મૂકવામાં આવે છે. કારણ કે, વ્યક્તિ પર સામાજિક વાતાવરણનાં પરિબળો અને પ્રવાહોની અસર થતી હોય છે.
સમાજશાસ્ત્રમાં સમાજજીવનની મહત્વની ઘટનાઓનો ઊંડાણપૂર્વકનો અભ્યાસ કરવા માટે વ્યક્તિ તપાસ પદ્વતિનો ખૂબ મોટા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે.
વ્યક્તિ તપાસ પદ્વતિની વ્યાખ્યા :
બિસેન્જ અને બિસેન્સના મત મુજબ, “વ્યક્તિ તપાસ પદ્વતિ ગુણાત્મક વિશ્લેષણનું સ્વરૂપ છે. જેમાં વ્યક્તિ, પરિસ્થિતિ કે સંસ્થાનું ધ્યાનપૂર્વકનું સંપૂર્ણ નિરીક્ષણ કરવામાં આવે છે.”
વ્યક્તિ તપાસ પદ્વતિની વિશેષતાઓ (લાક્ષણિકતાઓ) :
આ પદ્વતિમાં વ્યક્તિ, સમૂહ, કુટુંબ, સંસ્થા કે સુદાયને એક સામાજિક એકમ તરીકે ગણી, તેનો ઉંડાણપૂર્વક અભ્યાસ કરવામાં આવે છે.
વ્યક્તિને સમગ્ર સામાજિક વાતાવરણના સંદર્ભમાં તપાસીને તેનાં પર અસર કરનારાં પરિબળોને શોધવામાં આવે છે અને સામાજિક એકમ તથા સામાજિક વાતાવરણ વચ્ચેનો કાર્યકારણનો સંબંધ તપાસવામાં આવે છે.
સામાજિક એકમના કોઈ એક તત્વનો નહી, પરંતુ સામાજિક એકમમાં અભ્યાસને જરૂરી હોય એવા હેતુઓને લક્ષમાં લઈ તમામ પાસાઓનો સંપૂર્ણ અભ્યાસ કરવામાં આવે છે.
આ પદ્વતિમાં વ્યક્તિ ઉપરાંત તેની વ્યક્તિમત્તા પર અસર કરનારાં બધાં જ પરિબળોનો અભ્યાસ કરવામાં આવે છે.
આ પદ્વતિમાં કોઈ પણ સામાજિક એકમનો ઊંડાણપૂર્વક, ઝીણવટભર્યો અને વિસ્તૃત અભ્યાસ કરવામાં આવતો હોવાથી તેને સમાજશાસ્ત્રના ‘સુક્ષ્મદર્શક યંત્ર’ તરીકે પણ ઓળખવામાં આવે છે.
આ પદ્વતિ ગુનાત્મક માહિતી આપતી હોવાથી તેમાં સંખ્યાત્મક માહિતીને ધ્યાંનમાં લેવામાં આવતી નથી. આથી આ પદ્વતિને ‘ગુણાત્મક અભ્યાસ’ પણ કહે છે.
આ પદ્વતિમાં સંશોધનની મોટા ભાગની બધી પદ્વતિઓ અને પ્રયુક્તિઓ જેવી કે, ઐતિહાસિક પદ્વતિ, ગ્રંથાલય પદ્વતિ, નિરીક્ષણ પ્રયુક્તિ, મુલાકાત પ્રયુક્તિ વગેરેનો સમાવેશ થાય છે અને સીધો ઉપયોગ પણ થાય છે.
વ્યક્તિ તપાસ પદ્વતિની મદદથી બે પ્રકારના અભ્યાસ કરવામાં આવે છે : (1) વ્યક્તિ અધ્યયન અને (2) સમૂહ કે સમુદાયનું અધ્યયન.
આ પદ્વતિમાં પ્રાથમિક માહિતી મુલાકાત અનુસૂચિ અને નિરીક્ષણ દ્વારા તથા ગૌણ માહિતી ડાયરી, પત્રો, વ્યક્તિગત, દસ્તાવેજો, જીવનચરિત્ર, દૈનિક નોંધ વગેરેમાંથી એકત્રિત કરવામાં આવે છે.
વ્યક્તિ તપાસ પદ્વતિની ઉપયોગિતા :
વ્યક્તિ તપાસ પદ્વતિ વ્યક્તિનો પ્રાથમિક પરિચય કેળવવામાં, નિશ્વિત ઉપકલ્પનાઓ રચવામાં તથા આંતરસૂઝ અને આધાર પૂરો પાડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. વ્યક્તિ તપાસ પદ્વતિની ઉપયોગીતા નીચે પ્રમાણે છે :
વ્યક્તિ તપાસ પદ્વતિ દ્વારા થતું સંશોધન વિસ્તૃત અને મોટું હોવાથી તેમાં સંશોધકને વિશાળ પાયા પર વ્યક્તિગત અનુભવો થાય છે.
આ પદ્વતિમાં સામાજિક એકમોનો ખુબ ઝીણવટપૂર્વકનો અભ્યાસ થાય છે.
આ પદ્વતિ દ્વારા સંશોધકનું જ્ઞાન ઊંડું અને સમૃદ્વ બને છે પરિણામે તેને નવી ઉપકલ્પના કે સિદ્વાંત રચવામાં સહાયતા મળે છે.
આ પદ્વતિ દ્વારા મેળવેલી માહિતીમાંથી અન્ય પ્રકારનાં સંશોધનો કરવા માટેની પ્રેરણા મળે છે.
આ પદ્વતિ દ્વારા પ્રાપ્ત થયેલી માહીતી સમૃદ્વ હોવાથી તે દ્વારા વ્યક્તિનાં સામાજિક વલણો અને મૂલ્યો જાણી શકાય છે.
આ પદ્વતિનો ઉપયોગ કરવાથી સંશોધકના જ્ઞાનમાં વૃદ્વિ થાય છે અને સમૃદ્વ બને છે.
વ્યક્તિ તપાસ પદ્વતિની મર્યાદા :
આ પદ્વતિમાં સર્વગ્રાહી અભ્યાસ કરવામાં સમય વધારે જાય છે અને સંશોધન ખર્ચ પણ વધારે થાય છે. આ થી શ્રદ્વા અને ધીરજના ગુણ ધરાવનાર વ્યક્તિ જ આ પદ્વતિનો ઉપયોગ કરી શકે છે.
આ પદ્વતિમાં જુદા જુદા સમૂહોની તુલના કરવી શક્ય બનતી નથી.
મોટા ભાગે આ પદ્વતિ નાના અને મર્યાદિત સ્વરૂપના અભ્યાસમાં જ વધુ ઉપયોગી બને છે.
આ પદ્વતિમાં સંશોધક વધુ પડતો વિશ્વાસુ બનીને અમુક ઉદાહરણ કે પ્રતિભાવોના આધારે સામાન્યીકરણ કરવા તરફ લલચાઇ જાય છે.
આ પદ્વતિમાં બેવડું વ્યક્તિત્વ ધરાવતી વ્યક્તિ દ્વારા મેળવી માહિતીને સંશોધક સાચી માની લેવાની ભૂલ કરી શકે છે.
આ પદ્વતિ દ્વારા મેળવેલી માહિતી વ્યક્તિગત અને સરકારી દસ્તાવેજો પર આધારિત હોવાથી તેમાં રજૂ કરવામાં આવેલી માહિતી સંપૂર્ણ સત્ય જ હશે એમ માનવું ભુલભરેલું છે. આવા દસ્તાવેજોમાં અનેક ખામીઓ હોઈ શકે છે અથવા બિનજરૂરી પ્રસંગો પર વધુ પડતા ભાર પણ મૂકવામાં આવ્યો હોય છે.
વ્યક્તિ તપાસ પદ્વતિની મર્યાદા હોવા છતાં અનેક નવાં સંશોધનક્ષેત્રોમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. સમાજશાસ્ત્ર ઉપરાંત વાણિજ્ય સંચાલન, આધુનિક ગુનેગારશાસ્ત્ર, ઇતિહાસ, મનોવિજ્ઞાન વગેરે વિષયોમાં આ પદ્વતિ ઉપયોગમાં લેવામાં આવે છે.