CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
‘સામાજિક માળખું’, ‘સામાજિક રચના’, ‘સામાજિક રચનાતંત્ર’ આ બધા સમાનાર્થી શબ્દો છે. જેમ શરીરનું માળખું હોય છે તેમ સમાજનું માળખું કે રચના હોય છે, જેને સામાજિક રચનાતંત્ર કહેવામાં આવે છે.
સામાજિક રચનાતંત્રનો અર્થ અને વ્યાખ્યા :
રચના એટલે એકબીજા સાથે જોડાયેલા ભાગો. શરીરની રચના એટલે શરીરનાં અંગોની વ્યવસ્થિત ગોઠવણી. આ ગોઠવણીના કારણે સમગ્ર માળખું તૈયાર થાય છે. દા. ત., ‘ઘર’ એ ભૌતિક રચનાની ગોઠવણી છે; જેમાં ચારે બાજુની દીવાલો, ભોયતળિયું, છત, બારી, બરણાં વગેરેની વ્યવસ્થિત ગોઠવણીથી તૈયાર થયેલું એક ભૌતિક માળખું છે.
સમાજશાસ્ત્રી રૉબર્ટ મર્ટનના મતે, “સામાજિક રચનાતંત્ર એટલે દરજ્જા, ભૂમિકા અને ધોરણોનો સંકુલ.”
સમાજશાસ્ત્રી વિદ્યુત જોષીના મત પ્રમાણે, “સમાજમાં વ્યક્તિઓ જુદા જુદા દરજ્જા ધરાવે છે. આ દરજ્જાઓ મુજબ વ્યક્તિ ભૂમિકા ભજવે છે. આ ભૂમિકા અમુક ચોક્કસ સંબંધમાં અને અમુક ચોક્કસ પરિસ્થિતિમાં ભજવાય છે. આ પ્રમાણે ભૂમિકાઓ વ્યવસ્થિત સામાજિક સંબંધોની ગુંથણી તૈયાર કરે છે, જેને સામાજિક રચનાતંત્ર કહેવામાં આવે છે.
સામાજિક રચનાતંત્ર એક અમૂર્ત ઘટના છે. સમૂહ, સંસ્થા, સંગઠન, મંડળ વગેરે તેના એકમો છે. દરેક સમાજમાં વ્યક્તિને એકબીજા સાથે જોડવા માટે ખાસ સંસ્થાકીય પ્રણાલિકાઓ વિકસાવેલી હોય છે. વ્યક્તિઓ જ્યારે સામાજિક દરજ્જાથી એકબીજા સાથે જોડાય ત્યારે તે સામાજિક માળખું બને છે. દા. ત., ‘કુટુંબ’ એક સામાજિક રચના છે જેમાં માતા-પિતા, પતિ-પત્ની, પૂત્ર-પૂત્રી, ભાઇ-બહેન, કાકા-કાકી વગેરે એકબીજા સાથે સંબંધોથી વ્યવસ્થિત રીતે જોડાયેલાં છે.
આ જ પ્રમાણે ગ્રામ સમુદાય જુદાં જુદાં જૂથો, જ્ઞાતિ, પેટાજ્ઞાતિ, સંસ્થા, મંડળ વગેરેથી જોડાયેલો છે.
સામાજિક રચનાતંત્રનાં લક્ષણો :
1. સામાજિક ભૂમિકાઓનો સમૂહ :
સામાજિક ભૂમિકાઓ એ સામાજિક દરજ્જાનું વર્તનલક્ષી પાસું છે. કોઈ પણ રચનાતંત્રની જરૂરિયાતો પૂર્ણ કરવા અથવા ધ્યેય પ્રાપ્ત કરવા દરેકે પોતાના દરજ્જા મૂજબ ભૂમિકાઓ ભજવવી પડે છે. દા. ત., ‘શાળા’નાં ધ્યેયો પૂર્ણ કરવા માટે આચાર્યએ શાળાનું સંચાલન કરવું, શિક્ષકોએ શિક્ષણકાર્ય કરવું, વિદ્યાર્થીઓએ નિયમિત અભ્યાસ કરવો, કારકુને વહીવટી કાર્ય કરવાં અને સેવકે સ્વચ્છતા જાળવવી વગેરે. આમ, દરેક વ્યક્તિએ પોતાના દરજ્જા મુજબ ભૂમિકાઓ ભજવવાની હોય છે.
2. સામાજિક ધોરણો :
સામાજિક રચનાતંત્રને સક્રિય રાખવા માટે સમાજમાં સામાજિક ધોરણો હોવાં જરૂરી છે. સામાજિક ધોરણો વ્યક્તિ અને જૂથોને પોતાના દરજ્જાને અનુરૂપ કેવી રીતે ભૂમિકા ભજવવાની છે તે અંગેનું માર્ગદર્શન આપે છે. જો સમાજમાં સામાજિક ધોરણોન હોય, તો સામાજિક રચનાતંત્રમાં અરાજકતા અને અંધાધૂધી ફેલાય છે અને સમગ્ર સામાજિક રચનાતંત્ર ખોરવાઇ જાય છે. દા. ત., શાળામાં આચાર્ય કે શિક્ષક તરીકે પસંદગી પામવા માટે નક્કી કરેલી લાયકાત અને અનુભવ હોવાં જરૂરી છે. આ જ પ્રમાણે શાળામાં પ્રવેશ, અભ્યાસક્રમ, પરીક્ષા વગેરેને લગતાં ધોરણો નક્કી થયેલાં હોય છે. જો આ પ્રમાણેનાં ધોરણો ન હોય, તો શિક્ષણના ધ્યેયને પૂર્ણ કરવામાં અવરોધ આવે છે.
3. સામાજિક દરજ્જાઓનો સમૂહ :
સામાજિક દરજ્જાઓનો સમૂહ એ સામાજિક રચનાતંત્રનું મહત્વનું લક્ષણ છે. સમાજનું કોઈ પણ રચનાતંત્ર જુદા જુદા દરજ્જાઓથી અસ્તીત્વમાં આવે છે. સમાજનું કોઈ પણ રચનાતંત્ર જુદા જુદા દરજ્જાઓથી અસ્તિત્વમાં આવે છે. સમૂહ, સંસ્થા, મંડળ કે સંગઠનની વિવિધ જરૂરિયાતો સંતોષવા માટે વિવિધ દરજ્જાઓનું હોવું જરૂરી છે. જુદા જુદા દરજ્જાઓના શ્રમ વિભાજન દ્વારા જૂથનું ધ્યેય પ્રાપ્ત કરી શકાય છે. દા. ત., ‘શાળા’ કૂથની રચના ટકાવી રાખવા માટે આચાર્ય, શિક્ષક, વિદ્યાર્થી, કારકુન, સેવક વગેરે દરજ્જાઓ જરૂરી છે.