CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
સમાજશાસ્ત્રી ટાલ્કોટ પાર્સન્સે સામાજિક રચનાતંત્રના ‘AGIL મૉડેલ’ની રજૂઆત કરી છે. આ મૉડેલને ‘સમાજવ્ય્યવસ્થાની કાર્યાત્મક કરૂરિયાત’ તરીકે ઓળખવામાં આવે છે. તેમના મત મુજબ કોઇ પણ સામાજિક વ્યવસ્થાને ટકી રહેવું હોય, તો આ ચાર કાર્યાત્મક જરૂરિયાતો પૂર્ણ કરવી જોઈએ.
સામાજિક રચનાતંત્રનું ‘AGIL મૉડેલ’ : ટાલ્કોટ પાર્સન્સે સામાજિક રચનાતંત્રના ‘AGIL મૉડેલમાં; દર્શાવેલી ચાર કાર્યાત્મક જરૂરિયાતો નીચે પ્રમાણે છે.
1. અનુકૂલન :
કોઈ પણ સમાજે લાંબા સમય સુધી ટકી રહેવા માટે અને પોતાની ભૌતિક જરૂરિયાતોના સંતોષ માટે ભૌતિક વાતાવરણ સાથે અનુકૂલન સાધવું અનિવાર્ય છે. ખોરાક અને રહેઠાણ એ માનવીની મૂળભૂત જરૂરિયાત છે. આ જરૂરિયાતના સંતોષ માટે સમાજમાં ઉત્પાદન અને વહેંચણીની વ્યવસ્થા ઊભી કરવામાં આવે છે. સમાજની આર્થિક વ્યવસ્થા આ જરૂરિયાતોને સંતોષે છે. આમ, આર્થિક વ્યવસ્થાના કારણે સમાજમાં અનુકૂલન સધાય છે.
2. ધ્યેયપ્રાપ્તિ :
દરેક સામાજિક રચનાતંત્રે લાંબા સમય સુધી ટકી રહેવા માટે ચોક્કસ ધ્યેયો નક્કી કરવા જોઇએ. નક્કી કરેલાં ધ્યેયોને પ્રાપ્ત કરવા અને તે માટે જરૂરી નિર્ણયો લેવા દરેક સામાજિક રચનાતંત્રમાં એક સંસ્થા હોય છે, જેને ‘રાજ્યવ્યવસ્થા’ કહેવામાં આવે છે. ધ્યેયપ્રાપ્તિના કાર્યમાં રાજ્યવ્યવસ્થા અગત્યનો ફાળો આપે છે. રાજ્યવ્યવસ્થા નીતિઓનું ઘડતર કરી તેનો અમલ કરવાનું કાર્ય કરે છે. અનુકૂલનની નીતિઓનું ઘડતર કરી તેનો અમલ કરવાનું કાર્ય કરે છે. અનુકૂલનની સમસ્યા જેટલે અંશે હલ થઈ શકે તેટલે અંશે ધ્યેયપ્રાપ્તિ સરળ બને છે.
3. સુગ્રથન :
દરેક સમાજે પોતાનું અસ્તિત્વ લાંબા સમય સુધી ટકાવી રાખવું હોય, તો પોતાના સામાજિક રચનાતંત્રના દરેક આંતરિક ભાગો વચ્ચે સંકલન અને નિયંત્રણ રાખવું જરૂરી છે. સામાજિક વ્યવસ્થામાં કાયદા ઘડનારી સંસ્થાઓ અને અદાલતો સામાજિક ધોરણોના અમલ દ્વારા સમાજની સુગ્રથનની જરૂરિયાત સંતોષે છે. સામાજિક રચનાતંત્રના બધા સભ્યો પરસ્પર એકબીજાને અને સમગ્ર રીતે તંત્રને વફાદાર રહે તે ખૂબ જ જરૂરી છે. વફાદારી, સહકાર, સંકલન, કાર્યદક્ષતા વગેરે ગુણો દ્વારા સામાજિક રચનાતંત્રમાં સુગ્રથન જળવાઇ રહે છે.
4. રચનાની જાળવણી અને તંગદીલી-નિવારણ :
દરેક સમાજે પોતાની ચોક્કસ વ્યવસ્થા અને સામાજિક ધોરણોના આધારે પોતાનું અસ્તિત્વ જાળવી રાખવું પડે છે. આ દરમિયાન વિવિધ સમસ્યાઓ ઊભી થાય છે. સમાજે આ વિવિધ સમસ્યાઓનું નિરાકરણ લાવવું પડે છે. સામાજિક રચનાતંત્રની જાળવણી માટે સમાજના દરેક સભ્યોએ પોતાના દરજ્જાને અનુરૂપ ભૂમિકા ભજવવી જોઈએ. સભ્યો પોતાની નક્કી કરેલી ભૂમિકાઓને સારી રીતે ભજવી શકે તે માટે સમાજે તેમને પ્રોત્સાહિત કરવા જોઈએ.
અસરકારક ભૂમિકાઓ ભજવતી વખતે કોઈક વાર તંગદિલી ઊભી થાય છે. આ ઉપરાંત કોઈ કોઈ વાર વ્યક્તિમત્તામાં પણ તંગદીલી અનુભવાય છે, જે સભ્યોને સંઘર્ષ તરફ લઈ જાય છે. સમાજે આંતર્ક તણાવ અને સંઘર્ષના ઉકેલ માટે જરૂરી માર્ગ શોધવો જોઈએ. આ કાર્ય કુટુંબસંસ્થા દ્વારા થાય છે. કુટુંબસંસ્થા, ધર્મસંસ્થા, શિક્ષણસંસ્થા વગેરે જેવી સંસ્થાઓ સમાજરચનાની જાળવણીમાં અને તંગદીલી-નિવારણના કાર્યમાં મદદરૂપ થાય છે.
આમ, ટાલ્કોટ પાર્સન્ટનું AGIL મૉડેલ સામાજિક રચનાતંત્રની ચાર કાર્યાત્મક જરૂરિયાતો પૂર્ણ કરે છે અને સામાજિક સંતુલન જાળવે છે. સામાજિક સંતુલન સાધવા માટે અનેક ક્રિયાતંત્રો છે, જેમાં સમાજીકરણ મહત્વનું ક્રિયાતંત્ર છે. સમાજીકરણ દ્વારા સામાજિક મૂલ્યોનું આત્મસાતીકરણ થાય છે અને સામાજિક નિયંત્રણની પ્રક્રિયાઓ સમાજને સંતુલિત રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.