CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
સામાજિક આંતરક્રિયાના ત્રણ પ્રકારો છે : (1) સહકાર, (2) સંઘર્ષ અને (3) સ્પર્ધા.
સામાજિક આંતરક્રિયાના પ્રકાર તરીકે સંઘર્ષના સ્વરૂપની સમજૂતી :
સંઘર્ષ :
સામાજિક આંતરક્રિયામાં સહકાર જેવી જ મૂળભૂત પ્રક્રિયા સંઘર્ષની છે. મર્યાદિત ધ્યેયોને પ્રાપ્ત કરવા માટે અનેક વ્યક્તિઓ વચ્ચે સ્પર્ધા થતી હોય છે. તેમાં નિયમોનું પાલન થાય તો તે તંદુરસ્ત સ્પર્ધા કહેવાય, પરંતુ જ્યારે નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવે છે ત્યારે તે સંઘર્ષ બને છે. નિયમોના ઉલ્લંઘનમાં બીજા પક્ષને નુકસાન પહોંચાડવાના કે હેરાન કરવાના પ્રયાસનો સમાવેશ થાય છે.
મેકાઇવર અને પેજના મત પ્રમાણે, “જ્યારે માજવી એક જ અથવા અછત ધરાવતાં ધ્યેયો પ્રાપ્ત કરવા માટે એકબીજાનો મુકાબલો કરે, એકબીજાને નુકસાન કરી સામસામે આવે ત્યારે તેને ‘સામાજિક સંઘર્ષ’ કહેવાય.”
સંઘર્ષના પ્રકારો :
1 પ્રત્યક્ષ સંઘર્ષ :
બે પક્ષો એક જ ધ્યેય પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરતા હોય અને બંને પક્ષો એકબીજાના ધ્યેયપ્રાપ્તિના પ્રયત્નોમાં અવરોધ ઊભો કરતા હોય, એકબીજાને ઉતારી પાડવાનો પ્રયત્ન કરતા હોય કે એકબીજાનો નાશ કરવા માટે શારીરિક બળનો ઉપયોગ કરતા હોય ત્યારે તેને ‘પ્રત્યક્ષ સંઘર્ષ’ કહેવાય.
દા. ત., દેશના રાજકીય પક્ષો એકબીજાને ઉતારી પાડે, એકબીજાના કામ હલકા ગણાવતા હોય ત્યારે ‘પ્રત્યક્ષ સંઘર્ષ’ છે એમ કહેવાય. ભારત અને પાકિસ્તાન વચ્ચેનું યુદ્વ, કારિગરો અને માલિકો વચ્ચે નો સંઘર્ષ.
2. પરોક્ષ સંઘર્ષ :
બે પક્ષો એક જ ધ્યેય પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરતા હોય અને બંને પક્ષો એકબીજાના ધ્યેયપ્રાતિ કરવાના પ્રયત્નોમાં આડકતરી રીતે અવરોધ ઊભો કરતા હોય જેથી સામેનો પક્ષ ધ્યેય પ્રાપ્ત ન કરી શકે ત્યારે એવા સંઘર્ષને ‘પરોક્ષ સંઘર્ષ’ કહેવાય.
દા. ત., બજારમાં કોઈ પણ પ્રકારનું ઉત્પાદન કરતી કંપની પોતાના ઉત્પાદન અને વેચાણ માટે જુદા જુદા પ્રકારની જે પ્રયુક્તિઓ અપનાવે જે પરોક્ષ સંઘર્ષનું ઉદાહરણ છે.
3 આંશિક સંઘર્ષ :
બે પક્ષો એક જ ધ્યેય પ્રાપ્ત કરવા માટે એકબીજાની વિરુદ્વ પ્રવૃત્તિ કરતા હોય, તેમની વચ્ચે વાટાઘાટો કે કરાર દ્વારા સંમતિ સાધીને સંઘર્ષને ઘટાડી શકાય તેમ હોય તેવા સંઘર્ષને ‘આંશિક સંઘર્ષ’ કહેવાય.
દા. ત., મજૂરો અને માલિક વચ્ચેનો સંઘર્ષ કરાર કે સંમતિ દ્વારા નિવારી શકાય ત્યારે તે સંઘર્ષને ‘આંશિક સંઘર્ષ’ કહેવાય.
4 સંપૂર્ણ સંઘર્ષ :
બે પક્ષો એક જ ધ્યેય પ્રાપ્ત કરવા માટે એકબીજા ઉપર માઅનસિક અને શારીરિક બળનો ઉપયોગ કરતા હોય તેમજ બંને પક્ષો વચ્ચે વાટાઘાટો કે કરાર દ્વારા સંમતિ સાધવાનું શક્ય જ ન હોય ત્યારે તે સંઘર્ષને ‘સંપૂર્ણ સંઘર’ કહેવાય.
દા. ત., કોઈ પણ બે દેશો વચ્ચે થયું યુદ્વ.
5 વ્યક્તિગત સંઘર્ષ :
બે વ્યક્તિઓ વચ્ચેના સંઘર્ષને ‘વ્યક્તિગત સંઘર્ષ’ કહેવાય.
દા. ત., મિત્ર-મિત્ર વચ્ચેનો સંઘર્ષ, ભાઇ-ભાઇ વચ્ચેનો સંઘર્ષ વગેરે.
6 જૂથ સંઘર્ષ :
બે જૂથ વચ્ચેના સંઘર્ષને ‘જૂથ સંઘર્ષ’ કહેવાય.
દા. ત., મજૂરો અને માલિકો વચ્ચેનો સંઘર્ષ, બે જ્ઞાતિ વચ્ચેનો સંઘર્ષ, બે કોમ વચ્ચેનો સંઘર્ષ, બે રાજ્ય સંઘર્ષ વગેરે. આ સંઘર્ષ પ્રત્યક્ષ કે પરોક્ષ સ્વરૂપનો અને આંશિક કે સંપૂર્ણ સ્વરૂપનો હોઈ શકે.
7 આંતરિક સંઘર્ષ :
કોઈ એક જ જૂથના સભ્યો વચ્ચેનો સંઘર્ષ પ્રત્યક્ષ કે પરોક્ષ સ્વરૂપનો હોય તે સંઘર્ષ ‘આંતરિક સંઘર્ષ’ કહેવાય.
દા. ત., કુટુંબ, સોસાયટી કે એક જ જ્ઞાતિના સભ્યો વચ્ચેનો સંઘર્ષ.
8 બાહ્ય સંઘર્ષ :
જ્યારે એક જ જૂથના સભ્યોને બીજા જૂથના સભ્યો સાથે સંઘર્ષ થાય ત્યારે તે સંઘર્ષને ‘બાહ્ય સંઘર્ષ’ કહેવાય. સંઘર્ષની માત્રામાં પણ તફાવતો જોવા મળે છે. તે એકબીજાની સાથે અસહકારનું વલણ, અબોલા, ગાળાગાળી, મારામારી કે ધાકધમકી વગેરે રીતે વ્યક્ત થાય છે. શારીરિક હુમલા કે ખૂન એ સંઘર્ષનું આત્યંતિક સ્વરૂપ છે.
સંઘર્ષ હેતુઓના વિરોધાભાસથી, અન્યાયમાંથી, શોષણમાંથી, વિચારસરણીના વિરોધમાંથી કે સ્થાપિત હિતોના અસંતોષમાંથી સર્જાય છે.
વ્યક્તિ-વ્યક્તિ વચ્ચેના સંઘર્ષો પરસ્પરના અનુકૂલનના અભાવથી, વિચારો કે માન્યતાઓના તફાવતથી કે સમાજીકરણના તફાવતમાંથી ઉદભવે છે.
ઔદ્યોગિક ક્ષેત્રોના સંઘર્ષો આર્થિક, શોષણ કે અન્ય વ્યક્તિઓના હસ્તક્ષેપમાંથી ઊભા થાય છે.
રાજકીય પક્ષો વચ્ચેના સંઘર્ષો કાર્યની નિષ્ફળતામાંથી સર્જાય છે.
આમ, સંઘર્ષના ઉદભવ માટે અનેક પરિબળો જવાબદાર હોય છે.